સીજેપી પ્રોટેસ્ટઃ 'વડા પ્રધાને પણ માફ કરી દીધાં' છતાં છોકરીને ધમકીઓ મળી રહી છે, તેના આખા પરિવારે શા માટે ઘર છોડવું પડ્યું?

    • લેેખક, સુશીલાસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 6 મિનિટ

ચેતવણીઃ આ લેખની અમુક વિગતો કેટલાક લોકોને વિચલિત કરી શકે છે.

દિલ્હીના જંતર-મંતર ખાતે કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની આગેવાની હેઠળ 36 દિવસ ચાલેલું વિરોધ પ્રદર્શન સરકાર સાથેની વાટાઘાટો પછી સમાપ્ત થયું હતું, પણ તેની સાથે જોડાયેલા સમાચારો હજુયે મળતા રહે છે. આ પૈકીની કેટલીક કહાણીઓ પ્રદર્શનમાં સામેલ થનારી અને વાયરલ રીલનો ભાગ બનેલી છોકરીઓ વિશે છે.

તેમાં એક 15 વર્ષનાં ટીનેજર છે, જેમણે પોતાની ભાષા બદલ માફી માગતો વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો હતો.

આ ટીનેજર ફેશન ડિઝાઇનર અને મેકઅપ આર્ટિસ્ટ બનવા માગે છે, પણ હાલમાં તેઓ દસમા ધોરણમાં ભણે છે અને એ પણ ખબર નથી કે તેઓ બોર્ડની પરીક્ષા આપી શકશે કે નહીં. તેમના ભાવિ વિશે વિચારવું તો બહુ દૂરની વાત છે.

એફઆઇઆર દાખલ થયા પછી તેઓ ઘર છોડી દઈને 26મી જુલાઈથી તેમનાં માતા સાથે અન્યત્ર રહે છે. તેઓ નથી જાણતાં કે તેઓ ઘરે પરત ક્યારે ફરી શકશે.

ઇન્સ્ટાગ્રામ તથા મિત્રો પાસેથી માહિતી મળ્યા પછી તે ટીનેજર 22મી જુલાઈના રોજ જંતર-મંતર પહોંચીને એક જૂથ સાથે જોડાયાં હતાં.

તેમણે બીબીસી હિંદીને જણાવ્યું હતું કે, તેઓ લોકોની ટિપ્પણીઓથી પ્રભાવિત થઈ કંઈક એવું કહી બેઠાં હતાં, જે તેમણે નહોતું કહેવું જોઈતું. તેમને પછીથી તેનું ભાન થયું હતું. તેઓ કશું કરી શકે, એ પહેલાં તો તેમની રીલ વાયરલ થઈ ચૂકી હતી.

આ કેસમાં ઝીરો એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી

શ્રુતિ (નામ બદલ્યું છે) કહે છે, "આ ઘટના 22મી જુલાઈના રોજ બની હતી અને મેં મારાં માતાને બે દિવસ પછી જણાવ્યું હતું. આ રીલની સાથે-સાથે મારા પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી રહી છે."

"મારી હત્યા કરવાની, બળાત્કાર કરવાની અને મારા પર એસિડ ફેંકવાની ધમકીઓ આપવામાં આવી હતી."

"મને એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ 500 રૂપિયાની નોટ... અને ઈનામ આપવાની ઓફર પણ કરવામાં આવી હતી."

"હું ડરી ગઈ હતી. હું બે દિવસ સુધી ઘરમાંથી બહાર નહોતી નીકળી. મારો નંબર લીક થઈ ગયો હતો. આ તમામ વાતો મને કૉલ અને મેસેજથી કહેવામાં આવી હતી અને આ બધું હજુ પણ ચાલુ જ છે."

તેમનાં માતા કહે છે કે, તેઓ સોશિયલ મીડિયાથી દૂર રહે છે અને તેમના પતિના ગયા પછી તેઓ ભજન-કીર્તનમાં જ રત રહે છે અને ઘર ચલાવવા માટે નાનાં-મોટાં કામ કરે છે.

જ્યારે તેમણે પુત્રી પાસેથી આ વિશે જાણ્યું, ત્યારે તેઓ થોડા દિવસો માટે તો સૂધબૂધ ગુમાવી બેઠાં હતાં. તેમને સમજાતું નહોતું કે શું કરવું.

માતાએ બીબીસી હિંદીને કહ્યું હતું, "એવું લાગતું હતું, જાણે કોઈ બૉમ્બ ફૂટ્યો હોય. મને વિશ્વાસ નહોતો બેસતો કે મારી દીકરી આવી ગાળો બોલી હતી. ગઈકાલની દુનિયા અલગ હતી અને આજે દુનિયા સાવ બદલાઈ ગઈ છે."

આંસુ લૂછતાં તેઓ કહે છે, "કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે, તેઓ દેશદ્રોહી છે, આતંકવાદીઓ છે. તેમને પાકિસ્તાન સાથે સાંઠગાંઠ છે. તે કેવી માતા હશે? તેણે કેવા સંસ્કાર આપ્યા છે?"

"વેશ્યા, વગેરે જેવી વાતો થઈ રહી છે, એ સાચી નથી. બધાંએ કહ્યું કે માફી માગી લો."

"હું પણ એ વાત સાથે સંમત છું કે આવી ગાળો આપવી નહોતી જોઈતી. ગાળો આપીને કંઈ આંદોલનો ન થાય. એફઆઇઆરમાં પણ ખોટી માહિતી આપવામાં આવી હતી."

"એફઆઇઆર ડિસમિસ કરી દેવામાં આવી, પણ કોઈ એમ શા માટે નથી કહેતું કે, 'ઘરે પાછાં જાવ, અમે તમારી સાથે છીએ.'"

આ કિસ્સામાં, વકીલ સ્મૃતિ સિંહ ચંદેલે ફરિયાદ દાખલ કરીને આક્ષેપ કર્યો હતો કે, વડા પ્રધાન મોદી વિરુદ્ધ વાંધાજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમની ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું હતું કે, આ ટિપ્પણીઓએ માત્ર બંધારણીય હોદ્દાની ગરિમાને જ ઠેસ નથી પહોંચાડી, બલ્કે હેતુપૂર્વક નફરત ફેલાવવાનો અને જાહેર શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કર્યો છે.

નોઇડા પોલીસે આ કેસમાં ઇન્ડિયન પીનલ કોડ (આઇપીસી)ની કલમ 352 (શાંતિનો ભંગ કરવાના આશય સાથે ઈરાદાપૂર્વક અપમાન કરવું), કલમ 353 (1) (જાહેર ઉપદ્રવ પ્રેરક નિવેદન) અને કલમ 356 (1) (બદનક્ષી) હેઠળ ઝીરો એફઆઇઆર દાખલ કરી હતી.

કેસ દાખલ થયા પછી સીજેપીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું હતું કે, છોકરીની ટિપ્પણી કદાચ ખોટી હોઈ શકે છે, પણ આવાં આકરાં પગલાં ભરવાં જોઈએ નહીં.

સૌરવ દાસે ઍક્સ પર લખ્યું હતું, "તેમના વિરુદ્ધ ફોજદારી કાયદાનો ઉપયોગ કરવો એ અસ્વીકાર્ય છે. અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવો એ પોતે ગુનાહિત અપરાધ બનતો નથી."

"લોકસભાના લગભગ 50 ટકા સાંસદો સામે ગુનાહિત કેસો પડતર છે અને તેમાંથી આશરે 100 સભ્યો એકલા ભાજપના જ છે."

"પોલીસે તેમની ઊર્જા 25 વર્ષની યુવતીને નિશાન બનાવવામાં વાપરવાને બદલે તે સાંસદોના કેસો પાછળ ખર્ચવી જોઈએ. યુવાનોને આ રીતે પજવવાનું તાકીદે બંધ કરવું જોઈએ."

જ્યારે બીબીસીએ સ્મૃતિ સિંહ ચંદેલને આ વિશે પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે આ મામલો દિલ્હી પોલીસના ધ્યાન પર લાવવામાં આવ્યો, ત્યારે તેમના પર દિલ્હી પોલીસનો ફોન આવ્યો હતો. તે પછી તેમણે તેમની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી.

તેમણે કહ્યું હતું કે, તમામ કલમો પાછી ખેંચી લેવાઈ છે અને આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો, કારણ કે, "જ્યારે વડા પ્રધાને જ બાળકોને માફ કરી દીધાં છે, ત્યારે અમે તેમના કરતાં મોટાં નથી. આથી, અમે પણ તેમને માફ કરી દીધાં છે."

સ્મૃતિ સિંહ ચંદેલ વ્યવસાયે વકીલ છે અને તેઓ જનતા દળ ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલાં છે.

ઉલ્લેખનીય છે કે, ઝીરો એફઆઇઆર એ એવી એફઆઇઆર હોય છે જે ઘટનાના અધિકારક્ષેત્ર બહારના પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી હોય.

જોકે, આ એફઆઇઆર પછીથી એ જ પોલીસ સ્ટેશનને મોકલી દેવામાં આવતી હોય છે, જેના અધિકારક્ષેત્રમાં બનાવ બન્યો હોય.

વડા પ્રધાન માટે અભદ્ર ભાષા માટે છોકરીએ માફી માગી

ગત પહેલી ઑગસ્ટના રોજ તે છોકરી વતી માફી માગતો વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું, "આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે" અને ઉમેર્યું હતું કે, તેઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા જૂથના પ્રભાવ હેઠળ આવીને આવું બોલી ગયાં હતાં.

વીડિયોમાં તેમણે કહ્યું હતું, "હું વિરોધ પ્રદર્શનના સ્થળે હતી અને ત્યાં ઘણાં જૂથો પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યાં હતાં. તે લોકો અન્ય લોકોને પણ ઉશ્કેરી રહ્યા હતા."

"એવી ભાષા વાપરવા બદલ મને ઘણી જ શરમ આવે છે અને હું નજર પણ મિલાવી નથી શકતી. આ બદલ હું આખા દેશની માફી માગું છું. આ મારી પહેલી અને છેલ્લી ભૂલ છે."

બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક વીડિયો મૅસેજ જાહેર કર્યો હતો.

એ વીડિયો મૅસેજમાં તેમણે કહ્યું હતું, "બાળપણ એ ભૂલ સુધારવા માટેની તક પણ છે. આ ગેરમાર્ગે દોરાઈ ગયેલાં બાળકો છે, તેમને સાચો માર્ગ દેખાડવાનો આ સમય છે, હું તેમને માફ કરવા માગું છું."

તેમણે કહ્યું હતું, "દેશ અને વિશ્વએ જોયું કે જંતર મંતર પર શું થયું. કેટલાંક તોફાની બાળકોએ એવી અભદ્ર અને અપશબ્દોવાળી ભાષાનો ઉપયોગ કર્યો, જે કોઈપણ સભ્ય સમાજ માટે ઉચિત નથી."

"મારું પણ વ્યક્તિગત રીતે અપમાન કરવામાં આવ્યું અને મારાં માતા વિશે પણ અભદ્ર શબ્દો વાપરવામાં આવ્યા."

ધમકીઓ અટકવાનું નામ નથી લઈ રહી

15 વર્ષનાં ટીનેજર જણાવે છે કે, માફી માગવા છતાંયે ધમકીઓ મળવાનું બંધ નથી થયું, જાણે કે તેમણે કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો હોય.

તેઓ કહે છે, "મેં બે વખત જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો, પણ પછી મને ભાન થયું કે, મારે મજબૂત બનવું પડશે. એ મારી ભૂલ હતી, મેં માફી માગી લીધી છે અને માફી મળી પણ ગઈ છે."

"મારી પાસે કોઈ સુરક્ષા નથી પણ હવે મારે છેવટ સુધી તેનો સામનો કરવો પડશે. હું આ લોકો માટે મારો જીવ નહીં આપું."

તેમણે સવાલ કર્યો હતો, "શું હું આ દેશની દીકરી છું? કારણ કે, આ દેશનાં બાળકો સાથે આ રીતે વ્યવહાર કરવામાં આવતો નથી."

(આત્મહત્યા એ ગંભીર માનસિક અને સામાજિક સમસ્યા છે. જો તમે તણાવ અનુભવી રહ્યા હો, તો તમે ભારત સરકારની જીવન આસ્થા હેલ્પલાઇન 1800 233 3330 પર મદદ માગી શકો છો. આ ઉપરાંત તમે નિષ્ણાતો સાથે વાત કરવા માટે સરકારની કિરણ મેન્ટલ હેલ્પલાઇન 1800-599-0019 પર અથવા તો મનોદર્પણ હેલ્પલાઇન 844 844 0632 પર ફોન કરી શકો છો. આ ઉપરાંત તમારે તમારાં મિત્રો તથા સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

માતા અને પુત્રી, બંને કહે છે, "હા, અમારાથી ભૂલ થઈ ગઈ. અમે માફી માગી અને તમે (વડાપ્રધાને) અમને માફ પણ કરી દીધાં. પણ જે લોકો આવી ધમકીઓ આપી રહ્યા છે, તેમને શા માટે અટકાવવામાં નથી આવતા?"

"મહેરબાની કરીને અમને થોડી તો મદદ કરો. અમે ઘરે પાછાં નથી જઈ શકતાં."

"જો કોઈ અમને ઓળખી જશે, તો મારી નાખશે, એ બીકે અમારે અમારા ચહેરા છૂપાવવા પડે છે."

ત્રણ લોકોનો આ પરિવાર ડરને લીધે હજી સુધી ઘરે પરત નથી ફર્યો.

પોલીસની મદદ માગવા વિશે પૂછાતાં તેમણે કહ્યું હતું કે, તેમને વિશ્વાસ નથી અને તેઓ સલામતી નથી અનુભવતાં.

જ્યારે અમે સ્મૃતિને માતા-પુત્રીની આવી સ્થિતિ વિશે વાત કરી, ત્યારે તેમણે કહ્યું, "તેમણે પોલીસ પાસેથી મદદ માગવી જોઈએ અને આ મુદ્દાને હવે રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે."

ટીનેજરનાં માતાએ કહ્યું હતું, "અમે છૂપાઈને જેમ-તેમ કરીને જીવીએ છીએ. સગાંસંબંધીઓ કહે છે કે, અમને ફોન ન કરશો, નહિંતર અમે મુશ્કેલીમાં મૂકાઈ જઈશું."

"અગાઉ, સંબંધીઓ વાત કરતા હતા, મિત્રોના ફોન આવતા હતા, પણ હવે અમને મદદની જરૂર છે, ત્યારે કોઈ અમારી સાથે નથી."

તેઓ સવાલ કરે છે, 'આપણું બંધારણ કહે છે કે, એક વ્યક્તિને અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે, તો પછી આ અધિકાર શા માટે ક્યાંયે દેખાતો નથી?'

માતા કહે છે, "જો મારી દીકરી બાળકો માટે વિરોધ પ્રદર્શન કરતાં મોતને ભેટી હોત, તો મને એ સાંત્વના મળી હોત કે તેણે બાળકોના ભવિષ્યને કાજે પોતાનો જીવ આપ્યો હતો. પણ હવે હું એ ડરમાં કેવી રીતે જીવી શકીશ કે કોઈ ગમે ત્યારે મારી દીકરીની હત્યા કરી દેશે?"

"આવી રીતે ટિપ્પણીઓ કરનારા લોકોને જોઈને લાગે છે કે, શું તેમણે પોતે કદી કોઈ ભૂલ જ નથી કરી?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન