નેપાળ પૂરની દુર્ઘટનામાં મૃત્યુઆંક 1,355 પર પહોંચ્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, RSS
નેપાળમાં આવેલા ભયાનક પૂરના 13મા દિવસે મૃત્યુઆંક વધીને 1,355 પહોંચ્યો છે.
પૂરની આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની યાદમાં નેપાળમાં સોમવારે રાષ્ટ્રીય શોક દિવસ મનાવાઈ રહ્યો છે.
ગયા અઠવાડિયે યોજાયેલી કૅબિનેટ બેઠકમાં પૂર દુર્ઘટનાના 13મા દિવસે રાષ્ટ્રીય શોકનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શોકના સમયગાળા દરમિયાન સમગ્ર નેપાળમાં આવેલા સરકારી કચેરીઓ તેમજ વિદેશોમાં સ્થિત નેપાળી રાજદ્વારી મિશનો ખાતે રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.
નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમૅન્ટ ઑથૉરિટીના જણાવ્યા મુજબ, અત્યાર સુધી 1,355 લોકોનાં મોતની પુષ્ટિ થઈ ચૂકી છે.
જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે અને તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી.
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો, દોઢ લાખથી વધુ મુસાફરો ઍરપૉર્ટ પર ફસાયા

ઇમેજ સ્રોત, EPA
ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતાં દેશનાં આઠ ઍરપૉર્ટ પર આશરે એક લાખ સિત્તેર હજાર મુસાફરો ફસાઈ ગયા છે. હાલ આ ઍરપૉર્ટ્સ પરથી ઉડાનોનું સંચાલન તાત્કાલિક ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે.
રવિવારની સવારે જકાર્તાના સોએકાર્નો-હટ્ટા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટને સૌથી પહેલા બંધ કરવામાં આવ્યું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍરપૉર્ટના હવાઈ ક્ષેત્રમાં અનાક ક્રાકાટોઆ જ્વાળામુખીની રાખ જોવા મળ્યા બાદ આ નિર્ણય લેવાયો હતો.
ઇન્ડોનેશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ, 1,558 ઉડાનો મોડી ચાલી રહી છે.
સ્થાનિક સમય અનુસાર ઍરપૉર્ટ્સ સોમવાર સવારે 9 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, જ્વાળામુખીનો વિસ્ફોટ શુક્રવારે મોડી રાત્રે શરૂ થયો હતો. બાદ આસપાસના વિસ્તારોમાં સતત ભૂકંપ જેવી સ્થિતિ સર્જાતી રહી હતી.
જ્વાળામુખીમાંથી લાવાના ફુવારા નીકળતા રહ્યા હતા અને જોરદાર વિસ્ફોટોના અવાજો પણ સંભળાતા રહ્યા હતા.
રવિવારે વહેલી સવારે વધુ બે વિસ્ફોટો થયા હતા.
પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે ઉડાનોનું સંચાલન અટકાવવાના કારણે મુખ્યત્વે સિંગાપુરથી આવતી-જતી ઉડાનો સૌથી વધુ પ્રભાવિત થઈ છે.
આ ઉપરાંત દોહા, સિડની અને કુઆલાલમ્પુર સહિતના અન્ય આંતરરાષ્ટ્રીય માર્ગોની ઉડાનો પણ અસરગ્રસ્ત બની છે.
દિલ્હી : હૉસ્ટેલ તૂટી પડવાની ઘટનામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત

ઇમેજ સ્રોત, Getty Images
રવિવારે બપોરે દિલ્હીના સત્ય નિકેતન માર્કેટ વિસ્તારમાં પાંચ માળની હૉસ્ટેલની ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, આજે સવારે સાડા છ સુધીમાં છ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે.
દિલ્હીના એડિશનલ ડીસીપી અભિમન્યુ પોસવાલે પત્રકારોને જણાવ્યું હતું કે "અત્યાર સુધીમાં નવ બાળકોને બચાવી લેવામાં આવ્યાં છે અને તેમને હૉસ્પિટલમાં મોકલવામાં આવ્યાં છે."
તેમણે કહ્યું, "ઇમારતના માલિક વિશે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. અમારી પાસે બધી માહિતી છે અને ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. બેદરકારીનો કેસ નોંધવામાં આવશે."
દિલ્હી પોલીસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, "સ્થાનિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ 40-50 વર્ષ જૂની ઇમારત હતી, જેમાં એક ભોંયરું અને પાંચ ઉપરના માળ હતા. તેનો ઉપયોગ હૉસ્ટેલ તરીકે થતો હતો. ઘટના સમયે, ભોંયરામાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું."
અમેરિકા : મિયામી ઍરપૉર્ટ પર પ્લેન ક્રૅશ, પાંચનાં મોત

ઇમેજ સ્રોત, EPA
રવિવારે અમેરિકાના મિયામી ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર એક કાર્ગો પ્લેન રનવે પરથી લપસી ગયું અને ક્રૅશ થયું હતું.
આ અકસ્માતમાં ઓછામાં ઓછા પાંચ લોકોનાં મોત થયાં છે અને પાંચ અન્ય ઘાયલ થયા છે.
સ્થાનિક સમય મુજબ બપોરે બે વાગ્યે લૅન્ડિંગ પછી એમેઝોન ઍરનું કાર્ગો પ્લેન રનવેથી આગળ નીકળી ગયું હતું અને ક્રૅશ થયું.
વિમાન લગભગ 209 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રનવે પરથી ઊતરી ગયું હતું.
બૉઇંગ 767-300 વિમાન અનેક વાહનો સાથે અથડાયું હતું, ત્યાર બાદ તેમાં આગ લાગી ગઈ.
અકસ્માતની શરૂઆતની માહિતી મળ્યા પછી લગભગ 200 ફાયર ફાઇટર કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોમાંથી ત્રણને સ્થાનિક ટ્રૉમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે બે અન્ય લોકો હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























