ટ્રમ્પનો દાવો- 'ઈરાને કહ્યું કે તે હોર્મુઝ સામુદ્રધુની પર કોઈ ટોલ નહીં લે' - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Bonnie Cash/UPI/Bloomberg via Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઈરાને તેમને જણાવ્યું છે કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થનાર જહાજો પાસેથી કોઈ ટોલ ટૅક્સ નહીં લે.
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ સોશિયલ પર લખ્યું કે, "ઈરાને અમેરિકાને જણાવ્યું કે મીડિયામાં ચાલતા સમાચારથી ઊલટ તે હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થનારાં જહાજો પાસેથી કોઈ ટોલ, વીમા શુલ્ક અથવા અન્ય ફીસ નહીં લે."
સાથે જ તેમણે પોસ્ટમાં લખ્યું કે, "જો આ માહિતી ખોટી સાબિત થઈ તો વાટાઘાટો તરત ખતમ કરવામાં આવશે."
ઉલ્લેખનીય છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે સમજૂતી હેઠળ ઈરાન 60 દિવસ સુધી જહાજોના પસાર થવા પર કર નહીં લે.
જોકે ઈરાને કહ્યું છે કે આ અવધિ બાદ ઓમાન સાથે સમજૂતીના આધારે તે જહાજો પાસેથી નેવિગેશન સર્વિસ, સુરક્ષા અને પર્યાવરણની સુરક્ષાના નામ પર કર લેશે.
ટ્રમ્પે ઈરાનની સંપત્તિઓ રિલીઝ થવાના દાવાને ફગાવ્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે "અમેરિકાએ ઈરાનને હજુ કોઈ રાશિ નથી ચૂકવી અને તેની ફ્રીઝ થયેલી સંપત્તિઓને પણ રિલીઝ નથી કરી."
"જોકે અમે થોડો ભાગ રિલીઝ કરીશું જેનાથી અમેરિકાના ખેડૂતોથી અનાજ ખરીદીને ઈરાનને આપવામાં આવશે કારણ કે ત્યાં તેની ખૂબ જરૂર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની આ પ્રતિક્રિયા ઈરાનના એ દાવા બાદ આવી છે, જેમાં તેમણે કહ્યું હતું કે તેની ફ્રીઝ અથવા બૅન કરાયેલી સંપત્તિ રિલીઝ કરવામાં આવી છે અને તે અમેરિકાના ખેડૂતો પાસેથી અનાજ નહીં ખરીદે.
અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા પાકિસ્તાનમાં કેમ ન થઈ, પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કારણ જણાવ્યું

ઇમેજ સ્રોત, Fayez Nureldine / AFP via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પાકિસ્તાન સરકારે પોતાની સંસદને જણાવ્યું છે કે અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા સંબંધિત તાજેતરની બેઠકો તેમના દેશમાં કેમ ન થઈ.
પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે સંસદમાં જણાવ્યું હતું કે "અમે ઇચ્છતા હતા કે શાંતિ મંત્રણાના તમામ તબક્કા પાકિસ્તાનમાં થાય, પરંતુ બંને દેશોએ પોતપોતાના નેતૃત્વને વિશ્વાસમાં લેવાનું હતું."
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સ્વિટ્ઝર્લૅન્ડના એક રિસૉર્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે એક કરાર થયો હતો.
આ બેઠક દરમિયાન, કતાર અને પાકિસ્તાનના અગ્રણી નેતાઓ મધ્યસ્થીની ભૂમિકામાં હાજર રહ્યા હતા.
મધ્ય એશિયામાં તણાવ ઓછો કરવા માટે પહેલી બેઠક પાકિસ્તાનની રાજધાનીમાં યોજાઈ હતી, જેને ઇસ્લામાબાદ ટૉક્સ નામ આપવામાં આવ્યું હતું, પરંતુ તે બેઠકમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.
આ ઉપરાંત, ઇસહાક ડારે સંસદમાં એમ પણ કહ્યું કે "કેટલાંક વર્ષો પહેલાં તો પાકિસ્તાનને રાજદ્વારી દૃષ્ટિકોણથી અલગ પડેલો દેશ કહેવામાં આવતો હતો, પરંતુ હવે તેને શાંતિ સ્થાપિત કરનાર અને મધ્યસ્થી દેશ તરીકે માન્યતા મળી છે."
ઈરાન અને અમેરિકા વચ્ચે વાતચીતને સરળ બનાવવામાં પાકિસ્તાનની ભૂમિકા પર પ્રકાશ પાડતા, ઇસહાક ડારે કહ્યું કે બંને વચ્ચે 47 વર્ષ પછી વાતચીત થઈ છે.
તેમના મતે, પાકિસ્તાને મધ્ય એશિયામાં તણાવ ઓછો કરવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી.
નૅશનલ ઍસેમ્બલીમાં બોલતા ઇસહાક ડારે કહ્યું કે ઈરાન અને અમેરિકા બંનેએ સંયુક્ત રીતે પાકિસ્તાનને મધ્યસ્થી તરીકે પસંદ કર્યું છે.
તેમણે કહ્યું, "હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, પાકિસ્તાનને હવે ઘણા આમંત્રણો મળે છે અને તે તેની પ્રાથમિકતાઓ અનુસાર તેમને પસંદ કરે છે."
તેમણે એમ પણ કહ્યું કે આર્થિક વિકાસ માટે પાકિસ્તાનના ઈરાન સાથેના સંબંધો મહત્ત્વપૂર્ણ રહેશે.
પદ્મભૂષણ સન્માન મેળવનાર અલકા યાજ્ઞિક ભાવુક થયાં, કહ્યું કે આ કરોડો શ્રોતાનું પણ સન્માન

ઇમેજ સ્રોત, ANI
જાણીતાં પ્લેબૅક સિંગર અલકા યાજ્ઞિકે પ્રતિષ્ઠિત પદ્મભૂષણ સન્માન મળતાં ખુશી અને આભાર વ્યક્ત કર્યાં છે.
તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઇન્સ્ટાગ્રામ પર એક ભાવુક પોસ્ટ મૂકીને આ સન્માન માટે આભાર માન્યો અને છેલ્લાં બે વરસમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનો સામનો કરવાનો પણ ઉલ્લેખ કર્યો.
અલકા યાજ્ઞિકે લખ્યું, "છેલ્લાં બે વરસમાં સ્પૉટલાઇટ, સાર્વજનિક કાર્યક્રમો અને પોતાની અંગત સફરને લોકો સાથે શૅર કરવાથી દૂર રહી. આ દરમિયાન હું સ્વાસ્થ્ય સંબંધિત કપરા સમયમાંથી પસાર થઈ રહી હતી, પરંતુ ચાહકોનાં પ્રેમ, પ્રાર્થનાઓ, સંદેશા અને અતૂટ સમર્થને દરેક પગલે મારો સાથ આપ્યો."
ગાયિકા અલકા યાજ્ઞિકે કહ્યું, "દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક પદ્મભૂષણ મેળવવો એ મારા માટે બહુ સન્માન અને વિનમ્રતાની વાત છે. આ સન્માન માત્ર મારું નથી, પણ એ કરોડો શ્રોતાનું પણ છે, જેણે મારા અવાજને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો. મારાં ગીતોને પેઢી દર પેઢીએ આગળ વધાર્યાં અને મારા જીવનમાં સારા અને ખરાબ દિવસોમાં મારો સાથે આપ્યો."
અંદાજે બે વર્ષ પહેલાં તેમણે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમને એક સેન્સર ન્યૂરલ હીયરિંગ લૉસની બીમારી છે. તેમાં સંભળાવું બંધ થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સમારોહમાં પદ્મ પુરસ્કાર 2026 આપ્યા હતા.
હોર્મુઝ સામુદ્રધુનીમાં ફસાયેલા 11 હજાર નાવિકોને સંયુક્ત રાષ્ટ્ર બહાર કાઢશે

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રનું આંતરરાષ્ટ્રીય સાગર સંગઠન (આઇએમઓ) ખાડી વિસ્તારમાં ફસાયેલા 11 હજારથી વધુ નાવિકોને બહાર કાઢવાની તૈયારી કરી રહ્યું છે. આ નાવિક અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને કારણે ત્યાં ફસાઈ ગયા છે.
આઇએમઓના મહાસચિવ આર્સેનિયો ડોમિંગુએઝે કહ્યું, " આ વિશેષ અભિયાન ઈરાન, ઓમાન, અમેરિકા અને વિસ્તારના અન્ય તટીય દેશોના સહયોગથી ચલાવાશે."
ગત અઠવાડિયે એક વચગાળાના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર થયા હતા, જેથી સંઘર્ષ સમાપ્ત થઈ શકે, પરંતુ અમેરિકા અને ઈરાન વચ્ચે હજુ કેટલીક બાબતો મુદ્દે વિવાદ થઈ રહ્યો છે.
અમેરિકાએ કહ્યું કે આ એમઓયુમાં એક ગૅરંટી સામેલ છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમની દેખરેખ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (આઇએઇએ) દ્વારા થાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સોશિયલ મીડિયા પર લખ્યું, "ઈરાને સંપૂર્ણ રીતે અને અંતિમ રૂપથી ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય પરમાણુ નિરીક્ષણોને સ્વીકાર્યા છે. તેનાથી 'પરમાણુ ઈનામદારી' સુનિશ્ચિત થશે."
ટ્રમ્પની પોસ્ટ અગાઉ ઈરાને કહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની આ દેખરેખ રાખતી સંસ્થા એ પરમાણુ સ્થળોની દેખરેખ નહીં રાખી શકે, જેને ગત વર્ષે અમેરિકા અને ઇઝરાયલે બૉમ્બમારો કરીને નષ્ટ કરી નાખી હતી.
આના જવાબમાં અમેરિકાના એક અધિકારીએ કહ્યું, "ઈરાનીઓએ પોતાના પરિમાણ હથિયાર કાર્યક્રમના અવશેષો પર આઇએઇએની દેખરેખ પર સહમતિ આપી છે. ઈરાની શાસન પોતાના નાગરિકો માટે જે કહેવું હોય એ કહે."
ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાને મંગળવારે પાકિસ્તાનની મુલાકાત દરમિયાન કહ્યું કે "ઈરાન કોઈ પણ પરિસ્થિતિમાં, કોઈની પણ સાથે, પોતાની રક્ષા ક્ષમતાઓ પર ક્યારેય વાતચીત નહીં કરે."
12 ભારતીયનાં મોત પર કતારના અમીરે સંવેદના વ્યક્ત કરી

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કતારના અમીર, શેખ તમીમ બિન હમદ અલ-થાનીનો આભાર માન્યો છે.
અમીરે વડા પ્રધાન મોદીને ફોન કરીને રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં ભારતીય નાગરિકોનાં મોત બદલ દુખ વ્યક્ત કર્યું અને ઘાયલોના સાજા થવાની કામના કરી હતી.
બાદમાં વડા પ્રધાને ઍક્સ પર લખ્યું કે "કતારના અમીરે ફોન કરીને ભારતીય નાગરિકોનાં દુખદ મોત પર સંવેદના પ્રગટ કરી એ માટે હું તેમનો આભાર માનું છું. આ દુર્ઘટના કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં થઈ હતી."
"અમે બંને એ પરિવારના દુખમાં સામેલ છીએ, જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે અને ઘાયલો જલદી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરીએ છીએ."
"ભારત અને કતાર પોતાના નાગરિકોની સુરક્ષા અને ભલાઈ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે અને આ કપરા સમયમાં એકબીજા સાથે ઊભા છીએ."
રવિવારે કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમાં થયેલા બ્લાસ્ટમાં 13 લોકોનાં મોત થયાં અને તેમાં 12 ભારતીય હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















