You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'આંખો સહેજ ત્રાસી થઈ અને...' મહિસાગર જિલ્લામાં બાળકોમાં કઈ વિચિત્ર બીમારી ફેલાઈ?
મહીસાગર જિલ્લામાં જીબીએસ (ગુલિયન બારે સિન્ડ્રૉમ)ના કારણે જિલ્લા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. જિલ્લાની એક શાળામાં અભ્યાસ કરતાં પાંચથી વધુ બાળકોને આ જીબીએસ રોગ હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારીએ જીબીએસના પાંચ શંકાસ્પદ કેસ હોવાની જાણકારીની પુષ્ટિ કરી છે.
બીબીસી સહયોગી જિગર પટેલ જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મેળવેલી માહિતી મુજબ જણાવે છે કે લુણાવાડાની જયશ્રીનગર સોસાયટી નજીક ત્રણ બાળકો આ રોગની ચપેટમાં આવ્યાં હતાં. આ જીબીએસના કારણે શાળામાં ધોરણ 3માં અભ્યાસ કરતા બાળક દેવરાજ મછારનું થોડા દિવસ અગાઉ મૃત્યુ થયું હતું. તંત્રનું કહેવું છે કે હાલ જિલ્લામાં જીબીએસના પાંચ કેસ ઍક્ટિવ છે, જેમાંથી બે દર્દી હૉસ્પિટલમાં દાખલ છે અને ત્રણને રજા આપતાં તેઓ ઘરે સારવાર લઈ રહ્યા છે.
બીજી તરફ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાની દરેક સ્કૂલમાં ચકાસણી ચાલી રહી છે. જિલ્લા મેડિકલ ઑફિસરના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી જિલ્લાની 24 શાળાના 13,106 બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરાઈ છે. ભારતમાં પહેલાં પણ 2019 અને 2025 જાન્યુઆરીમાં પૂણેમાં આ રોગ જોવા મળ્યો હતો.
'બીજા દિવસે તેની આંખો સહેજ ત્રાંસી થઈ હતી', વાલીએ શું કહ્યું?
લુણાવાડામાં રહેતા વિદ્યાર્થીના વાલી કેયુર પટેલ જણાવે છે કે :
"મારો દીકરો આઠમા ધોરણમાં ભણે છે. તેને ગયા સોમવારે ગળામાં તકલીફ થઈ હતી અને આંખો સહેજ ત્રાંસી થઈ હતી. અમે તેને ગોધરા દવાખાને લઈ ગયા જ્યાં ડૉક્ટરે જીબીએસનું નિદાન કર્યું. ત્યાંથી ડૉક્ટરે અમને વડોદરા કે અમદાવાદ હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું, તેથી અમે પહેલાં વડોદરા ગયા અને પછી અમદાવાદની ઝાયડસ હૉસ્પિટલમાં 8થી 10 દિવસ સારવાર કરાવી."
"આ સિવાય મારા બે મિત્રના દીકરાઓને પણ જીબીએસ થયો છે તેમાંથી એક તો હજુ પણ હૉસ્પિટલમાં દાખલ છે. અને એક બાળકને રજા આપી છે."
"બધા એક જ સ્કૂલમાં અભ્યાસ કરે છે."
બીમારી અંગે આરોગ્ય તંત્ર શું કહી રહ્યું છે?
જિલ્લા આરોગ્ય અધિકારી સી. આર. પટેલિયાએ જણાવ્યું કે, મહીસાગર જિલ્લામાં ઑટો ઇમ્યુન બીમારી અંગે જાણ થતાં આરોગ્ય ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
લુણાવાડાની આદર્શ સ્કૂલ ખાતે ઝાડા-ઊલટી, તાવ અને નબળાઈ જેવાં લક્ષણો સાથે પાંચ કેસ મળી આવ્યા હતા. સાવચેતીના ભાગરૂપે 13,106 બાળકોની તપાસ કરાઈ છે.
શાળા અને આસપાસના વિસ્તારમાંથી પીવાના પાણીનાં સાત સૅમ્પલ લેવામાં આવ્યાં હતાં, જે બૅક્ટેરિયલ કીટ જાહેર થયાં છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, "આ ચેપી રોગ નથી અને એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. રોગપ્રતિકારક તંત્રની અસામાન્ય પ્રતિક્રિયાને કારણે જ્યારે એન્ટિબૉડી નર્વસ સિસ્ટમને અસર કરે ત્યારે તેને 'ઑટો ઇમ્યુન' બીમારી કહેવાય છે." તેમણે આવાં લક્ષણો ધરાવતી વ્યક્તિને તાત્કાલિક નિષ્ણાતની સલાહ લેવા અપીલ કરી છે.
જીબીએસનાં લક્ષણો શું છે?
લુણાવાડાની મહેતા હૉસ્પિટલના ડૉ. દીપ મહેતા જણાવે છે કે, ગુલિયન બારે સિન્ડ્રૉમ એ કોઈ વાયરસજન્ય કે બૅક્ટેરિયલ રોગ ફેલાયો હોય તેના પછી લાગતું ઇન્ફેક્શન છે. તેઓ કહે છે, "જીબીએસ એ કોઈ વાયરસ નથી પણ વાયરલ ઇન્ફેક્શન થયું હોય તેના ત્રણ દિવસથી લઈને સાત અઠવાડિયાં સુધી મનુષ્યના ચેતાતંત્ર પર થતી અસરને કારણે જીબીએસ નામની બીમારી થતી હોય છે."
"જીબીએસનાં પ્રાથમિક લક્ષણોમાં પગમાં અશક્તિ; જે શરીરમાં નીચેના ભાગથી લઈને ઉપર સુધી ધીમે ધીમે અનુભવાય છે."
"આ રોગને નબળાઈ કે લકવા જેવી અસર પણ કહી શકીએ છીએ. પગમાં ઝણઝણાટીનો અનુભવ થવો, પગ ઉપાડવામાં તકલીફ થવી કે થાક લાગવો અને હાથમાં નબળાઈ આવવી જેવાં લક્ષણો તેમાં સામેલ છે."
ડૉ. દીપ મહેતા જણાવે છે કે, આ રોગનું સચોટ નિદાન ન થતાં ગંભીર પરિણામ પણ આવી શકે છે. યોગ્ય સમયે તેની તપાસ અને સારવાર કરાવવી જરૂરી છે, કેમકે શરૂઆતની અવસ્થામાં જીબીએસમાંથી ઝડપથી રિકવરી મળી શકે છે.
"આ રોગની જ્યારે દર્દીના શ્વસનતંત્ર પર અસર થાય છે ત્યારે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દર્દીએ વેન્ટિલેટર સુધી પણ જવું પડી શકે છે."
ધ્યાનમાં રાખવા જેવી બાબતો અંગે ડૉક્ટરે અપીલ કરી હતી કે પાણી ઉકાળીને પીવું જોઈએ, રહેણાક વિસ્તારોમાં ગંદકી દૂર કરવી જોઈએ તેમજ જંક ફૂડ ખાવાનું ટાળવું જોઈએ.
ગુલિયન બારે સિન્ડ્રોમ શું કરે છે?
આ ચેપનું કારણ 'કેમ્પિલોબેક્ટર જેજુની' નામક બૅક્ટેરિયા છે. આ રોગ વિશે સૌપ્રથમ 1990ના દાયકામાં ચીનના ગ્રામીણ વિસ્તારોમાં જાણકારી મળી હતી, જ્યાં મરઘીઓમાં આ રોગ સામાન્ય હતો અને દૂષિત પાણીને કારણે ફેલાતો હતો. આ એક દુર્લભ ઑટોઇમ્યુન ડિસઑર્ડર છે. વાયરસને મારવા માટે રોગપ્રતિકારક તંત્ર આકસ્મિક રીતે આજુબાજુની નર્વસ સિસ્ટમ પર પણ હુમલો કરી દે છે.
આ નર્વસ સિસ્ટમ મગજથી લઈને કરોડરજ્જુ અને શરીરના વિવિધ ભાગો સુધી ફેલાયેલી હોય છે. તેના પરના હુમલાથી શરીરના અવયવોનાં કામકાજ (હલનચલન) પર અસર થાય છે. કોરોના વાયરસ જેવા વાયરસ પાચનક્ષમતા, હૃદય અને કિડનીની કામગીરીને અસર કરે છે.
'ધ ન્યૂ ઇંગ્લૅન્ડ જર્નલ ઑફ મેડિસિન'માં પ્રકાશિત એક લેખ અનુસાર, કોરોના જેવા વાયરસ થયાના 5-10 દિવસ બાદ જીબીએસ થઈ શકે છે. જોકે કેટલાક નિષ્ણાતો કહે છે કે કોરોના થયાનાં કેટલાંક સપ્તાહો બાદ પણ તે થઈ શકે છે. ભારતમાં આ મામલે હજુ વધુ સંશોધનો હાથ ધરાઈ રહ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન