MBA કર્યા કરતાં પ્લમ્બર બનવાનો સમય છે? મુખ્ય આર્થિક સલાહકારના દાવામાં કેટલું સત્ય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુભ રાણા
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ભારતના સરકારના મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને એક નિવેદન આપીને સોશિયલ મીડિયામાં ચર્ચા છેડી છે.
સમાચાર એજન્સી એએનઆઇને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે વૈશ્વિકીકરણના સમયે કમ્પ્યુટર સાયન્સ અને એમબીએ જેવી ડિગ્રીઓને પ્રબલન આપ્યું હતું, પરંતુ હવે એ સમય પૂરો થઈ રહ્યો છે.
તેમના અનુસાર, ભવિષ્ય ટ્રેડ સ્કિલ્સ અને સૉફ્ટ સ્કિલ્સનું છે, કેમ કે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને કારપેન્ટર જેવા ધંધામાં માનવીય કૌશલની જરૂર હોય છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) સરળતાથી તેનું સ્થાન નહીં લઈ શકે. તેમણે કહ્યું કે યુવાઓએ એવું કૌશલ હાંસલ કરવું જોઈએ, જેનું સ્થાન ટેકનૉલૉજી સરળતાથી લઈ ન શકે.
ટ્રેડ સ્કિલ્સ એ વ્યાવહારિક અને તકનીકી કૌશલ હોય છે, જે કોઈ ખાસ કામ કે ધંધા માટે જરૂરી હોય છે, જેમ કે પ્લમ્બિંગ કે ઇલેક્ટ્રિકલ કામ.
તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એઆઇની રોજગારી પર પડનારી અસરથી ચિંતા વધી રહી છે અને એ ચર્ચા તેજ થઈ રહી છે કે પારંપરિક ઉચ્ચ શિક્ષણના રસ્તા જેમ કે કૉલેજ કે યુનિવર્સિટીનું ભણતર આજના સમયમાં કેટલા પ્રાસંગિક અને ઉપયોગી છે.
આ વાતને સમજવા માટે અમે વિશ્લેષકો સાથે વાત કરી.
નાગેશ્વરને શું રોજગાર વિશે કહ્યું?

ભારતના મુખ્ય આર્થિક સલાહકાર (સીઇએ) વી. અનંત નાગેશ્વરન સમાચાર એજન્સી એએનઆઇ સાથેના પૉડકાસ્ટમાં સામેલ થયા હતા.
આ મુલાકાતમાં વી. અનંત નાગેશ્વરનને પૂછવામાં આવ્યું હતું કે, "તમે 22 વર્ષીય યુવાનને શું સલાહ આપશો, કારણ કે શિક્ષણ મૉડલ એવું છે કે તમે પહેલાં બીએ, એમએ, એમફીલ, પીએચ.ડી કરો અને પછી યુપીએસસીનો વિચાર કરો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"આ મૉડલ રોજગારની ગૅરંટી આપતું નથી. તમારી સલાહ શું હશે?"
આના પર નાગેશ્વરને જવાબ આપ્યો, "ઈમાનદારીથી કહું તો, હું મારાં બાળકો અને મારા મિત્રોનાં બાળકોને પણ સલાહ આપું છું."
"મને લાગે છે કે સ્વિટ્ઝર્લૅન્ડ, જર્મની, જાપાન, કોરિયા અથવા ચીન જેવા દેશો (જેમણે સફળતાપૂર્વક વિકાસ કર્યો છે)માં ટ્રેડ કૌશલ્યનું ખૂબ સન્માન કરવામાં આવે છે. તેની તુલનામાં આ દેશમાં આ વ્યવસાયોને ખૂબ ઓછું સન્માન આપ્યું છે."
સીઇએએ કહ્યું, "જો તમે વેલ્ડર, પ્લમ્બર કે ઇલેક્ટ્રિશિયન કે સુથાર... કે બીજું કંઈ પણ, તો ભારતમાં તેનું મૂલ્ય નથી."
"આપણે તેને ડિપ્લોમા કહીએ છીએ, ભલે તે ડિગ્રી જેવું હોય. આપણે આ વ્યવસાયોને બહુ સ્વીકાર્યા નથી, સન્માન નથી આપ્યું, તેને ફૅશનેબલ માન્યા નથી. આમાં ફેરફાર કરવાની જરૂર છે."
"મને લાગે છે કે આ એવાં ક્ષેત્રો છે જ્યાં, ટેકનૉલૉજી ગમે તેટલી અદ્યતન થઈ જાય, તે તમારી નોકરી છીનવી શકતી નથી. આથી, તમારે ટ્રેડ કૌશલ્યમાં નિપુણતા મેળવવાની જરૂર છે."
"અને હા, વૈશ્વીકરણની દુનિયાએ કમ્પ્યુટર સાયન્સ અથવા એમબીએ શિક્ષણને થોડી ધાર આપી છે, પરંતુ તે યુગ પૂરો થઈ ગયો છે."
"હવે ટ્રેડ સ્કિલ્સનો યુગ છે, સૉફ્ટ સ્કિલનો યુગ છે, જેને એઆઇ સરળતાથી બદલી શકશે નહીં, જ્યાં માનવીય હુનરની જરૂર હોય છે."
આ જ મુલાકાતમાં તેમણે એક મિત્રના પુત્રનું ઉદાહરણ આપ્યું જે રસોઈયા તરીકેની નોકરીથી હતાશ હતો.
નાગેશ્વરને કહ્યું, "મેં તેને કહ્યું કે તું ખરેખર સોનાની ખાણ પર બેઠો છે, એઆઇ તારું સ્થાન લઈ શકે નહીં. બની શકે કે એઆઇ તારા મિત્રો જેવા ઘણા લોકોનું સ્થાન લઈ લે."
"માટે મારી સલાહ છે કે તમારે વેપાર, સૉફ્ટ સ્કિલ અને વ્યાવસાયિક કૌશલ્યમાં કુશળ બનવું જોઈએ, કારણ કે ટેકનૉલૉજી તેને સરળતાથી બદલી શકતી નથી."
પ્લમ્બર, કારપેન્ટર બનવાની સલાહ પર સોશિયલ મીડિયા પર લોકોએ શું કહ્યું?

નાગેશ્વરનના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં અનેક પ્રતિક્રિયા આવી છે.
ગિરીશ મિગલાણી નામના એક ઍક્સ યૂઝરે લખ્યું,"સીઇએ વી. અનંત નાગેશ્વરને એક ધારણાને વિસ્તારથી સમજાવી."
"પણ તેમાં એક પાયાની ભૂલ કરી બેઠા. ભવિષ્યને પાછું વળીને ન જોઈ શકાય."
તેમણે લખ્યું, "ભારતના મુખ્ય આર્થિક સલાહકારે ભવિષ્યમાં જરૂરી કૌશલ્ય પર પોતાની વાત મૂકી. પરંતુ સ્કિલિંગ નીતિના જે વિચારને આધાર બનાવાઈ રહ્યો છે, એ ચિંતાનું કારણ બની શકે છે."
ખુદને ગાંધીવાદી પૉલિટિકલ ઍનાલિસ્ટ અને સ્ટ્રેટેજિસ્ટ ગણાવતા એક ઍક્સ યૂઝર દુષ્યંત નાગરે લખ્યું, "પહેલાં મોદીજી યુવાઓને ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને હાઇટેક જૉબ્સ જેવાં સપનાં દેખાડતાં હતા. ઍન્જિનિયરિંગ, એઆઇ, સૉફ્ટવૅર, એમબીએનું ભવિષ્યનું દર્શાવાતું હતું."
"આજે સીઇએ ખુદ કહે છે કે એઆઇની દોડથી ભારત બહાર આવી ચૂક્યું છું અને મૅન્યુફૅક્ચરિંગમાં રોજગારી સર્જન સંપૂર્ણ ફેઇલ થયું છે."
"આથી યુવાઓએ ખાવાનું બનાવવું, પ્લમ્બિંગ, વેલ્ડિંગ, કેરગિવિંગ, ઇલેક્ટ્રિશિયન જેવી ટ્રેડ સ્કિલ તરફ જવું જોઈએ."
"સૉફ્ટવૅર અને એમબીએનો સમય ખતમ! આ સલાહ નથી, પણ 10 વર્ષની નીતિ નિષ્ફળતાની સ્વીકારોક્તિ છે."
'શું એમબીએની ડિગ્રી નોકરીની ગૅરંટી નથી રહી?'

ઇમેજ સ્રોત, Getty Images
આઇઆઇટી દિલ્હીથી મૅનેજમૅન્ટનો અભ્યાસ કરનારા અભિષેક પ્રદ્યોત એમબીએ અંગે ભારે આશાવાદી છે.
તેઓ કહે છે, "જ્યારે મેં સીઇએનું આ નિવેદન સાંભળ્યું તો સૌથી પહેલાં મારી પ્રતિક્રિયા એ હતી કે પારંપરિક એમબીએનું માર્કેટ સીમિત થઈ રહ્યું છે, પરંતુ ખતમ નથી થયું."
"કંપનીઓ આજે પણ એમબીએ ગ્રેજ્યુએટને લઈ રહી છે. કેટલાંક સેક્ટર જેમ કે આઇટીમાં નોકરીઓ પર દબાણ આવ્યું છે."
અભિષેક કહે છે કે તેમણે માર્કેટિંગમાં કારકિર્દી બનાવવા એમબીએ કર્યું છે.
તેમના અનુસાર, "એઆઇ ડેટા ઍનાલિસીસ અને ઇનસાઇટ્સ આપી શકે છે, પરંતુ મોટા વહીવટીય નિર્ણયોમાં માણસની જરૂર રહેશે અને આ વાત એમબીએ ગ્રેજ્યુએટની ભૂમિકાને મહત્ત્વની બનાવે છે."
જોકે અર્થશાસ્ત્રી મિતાલી નિકોરે કહે છે, "એક સમય એવો હતો કે જ્યારે એમબીએની ડિગ્રીને ઉત્તમ નોકરી અને વધુ પગારવાળી ગૅરંટની રૂપમાં જોવાતી, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે."
નિકોરે અનુસાર, "1990 અને 2000ના દાયકામાં વૈશ્વીકરણ અને કૉર્પોરેટ ક્ષેત્રના વિસ્તારથી વ્યવસ્થાપન વ્યાવસાયિકોને મોટો લાભ થયો, પરંતુ આવનારાં વર્ષોમાં માત્ર ડિગ્રીના આધારે કારકિર્દી ઘડવી મુશ્કેલ થઈ શકે છે."
'માત્ર ડિગ્રી નહીં, ક્રિએટિવ થિન્કિંગની પણ જરૂર પડશે'

એઆઇના રોજગાર પર અસર પર ચિંતાઓ માત્ર ભારત સુધી સીમિત નથી.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઇએમએફ)ના વર્ષ 2024ના એક રિપોર્ટ અનુસાર, દુનિયાભરમાં અંદાજે 40 ટકા નોકરીઓ એઆઇથી પ્રભાવિત થઈ શકે છે, જોકે તેની અસર અલગ-અલગ ક્ષેત્રો અને કૌશલ્ય સ્તરે અલગ હશે.
મિતાલી નિકોરે કહે છે, "એઆઇના વધતા ઉપયોગથી પ્રશાસનિક અને ક્લર્ક જેવી અનેક નોકરીઓ પ્રભાવિત થઈ શકે છે."
"એવામાં ક્રિએટિવ થિન્કિંગ, સમસ્યા-સમાધાનની ક્ષમતા અને તકનીકની સાથે કામ કરવાની યોગ્યતા વધુ મહત્ત્વની બની જશે."
તેમનું માનવું છે કે ભારતની શિક્ષણ વ્યવસ્થાએ લાંબા સમય સુધી ગોખણપટ્ટી પર ભાર આપ્યો છે, આથી હવે વિદ્યાર્થીમાં સ્વતંત્ર વિચાર અને વ્યાવહારિક કૌશલ્ય વિકસિત કરવાની જરૂર છે.
'એઆઇ બધું ન કરી શકે'
મણિકાંત રૉય નોઇડાની જયપુરિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમૅન્ટમાં બિઝનેસ ઍનાલિટિક્સ, એઆઇ અને ડેટા સાયન્સના આસિસ્ટન્ટ પ્રોફેસર છે.
તેઓ કહે છે, "એઆઇએ જીવનનાં દરેક ક્ષેત્રને પ્રભાવિત કર્યું છે અને એના કારણે તેને એમબીએ શિક્ષણમાં પણ ઝડપથી સામેલ કરાઈ રહ્યું છે."
"જોકે એ કહેવું યોગ્ય નથી હોય કે એઆઇના આવવાથી શિક્ષણની ઉપયોગિતા ખતમ થઈ જશે."
રૉય કહે છે કે ભવિષ્યમાં મૅનેજરો માટે સમસ્યા-સમાધાન, ક્રિટિકલ થિન્કિંગ અને તકનીકની સાથે કામ કરવાની ક્ષમતા બહુ મહત્ત્વની હશે.
રૉય અનુસાર, "એમબીએનું ભણતર માત્ર ઑટોમેશન પર આધારિત નથી, બલકે આ વિદ્યાર્થીઓને બિઝનેસ, પ્લાનિંગ, ફાઇનાન્સ, માર્કેટિંગ અને ડેટા ઍનાલિસીસ જેવાં ક્ષેત્રોમાં માનવીય નિર્ણય અને વિવેક સાથે કામ કરવાનું શીખવે છે."
તેમના અનુસાર, "એઆઇના કેટલાક ભાગમાં (ખાસ કરીને ડેટા ઍનાલિસીસ જેવાં કાર્યો) દક્ષતા વધારી શકે છે, પરંતુ અંતિમ નિર્ણયમાં માનવીય હસ્તક્ષેપ જરૂરી રહેશે."
રૉય જણાવે છે કે એઆઇએ કામ ગતિ અને સટીકતા બંને વધાર્યાં છે અને હવે કંપનીઓ એવા વ્યાવસાયિકોને પ્રાથમિકતા આપી રહી છે, જે એઆઇની સાથે ઝડપી અને પ્રભાવક રીતે કામ કરી શકે.
હાથનું હુનર, પરંતુ સમાજમાં ઓછું સન્માન
સીઇએ વી. અનંત નાગેશ્વરને પૉડકાસ્ટમાં એ પણ કહ્યું હતું કે દુનિયાના અનેક દેશો, જેમ કે જર્મની, જાપાન, દક્ષિણ કોરિયા અને ચીનમાં ટ્રેડ સ્કિલ્સ જેમ કે વેલ્ડિંગ, પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ અને કારપેન્ટ્રીનું સારું સામાજિક સન્માન મળે છે, જ્યારે ભારતમાં તેને અપેક્ષા કરતાં ઓછું મહત્ત્વ મળે છે.
નાગેશ્વરન અનુસાર, આ કૌશલ્યોને સામાન્ય રીતે 'ડિપ્લોમા' કહીને તેની મહત્તા ઓછી કરી દેવાય છે, જ્યારે એ પણ એટલાં મહત્ત્વનાં વ્યાવસાયિક કૌશલ્યો છે.
ટ્રેડ સ્કિલ્સ અંગે સામાજિક વિચાર પર નિકોરે સવાલ કરે છે.
મિતાલી નિકોરે અનુસાર, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન કે અન્ય તકનીકી વ્યાવસાયોને પૂરતું સન્માન નથી મળતું, જેની પાછળ વર્ગ અને જાતિ સંબંધિત ધારણાઓ પણ ભૂમિકા ભજવે છે.
નિકોરે કહે છે કે શાળાથી શિક્ષણમાં ટ્રેડ સ્કિલ્સ, રચનાત્મક ગતિવિધિઓ અને એઆઇ સાક્ષરતાને સામેલ કરવું જોઈએ, જેથી વિદ્યાર્થીઓ બદલાતા શ્રમ બજાર પ્રમાણે પોતાને યોગ્ય રીતે ઢાળી શકે.
તેઓ કહે છે, "ભવિષ્યમાં સામાન્ય કૌશલ્યવાળાની તુલનામાં કોઈ એક ક્ષેત્રમાં વિશેષતા રાખનારા લોકોની માગ વધી શકે છે. આથી યુવાઓએ ઉન્નત તકનીકી વિષયો, ઇનોવેશન અને ઉદ્યમિતાની દિશામાં પણ વિચારવાની જરૂર છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















