ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી કાઢી મૂકવાનો નિર્ણય કેમ લીધો? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, LUDOVIC MARIN/AFP via Getty Images
ફ્રાન્સે બે ઈરાની રાજદ્વારી કર્મચારીને દેશમાંથી નિષ્કાસિત કરવાનો નિર્ણય લીધો છે. ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોયેલ બૅરોટએ મંગળવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર આ અંગે માહિતી આપી હતી.
બીબીસી ફારસીના અહેવાલ મુજબ, આ નિર્ણય પહેલાં ઈરાને ફ્રાન્સના દૂતાવાસના બે ફ્રૅન્ચ કર્મચારીઓને ફરીથી ઈરાનમાં પ્રવેશવાની મંજૂરી આપવાનો ઇન્કાર કર્યો હતો.
ઈરાનના વિદેશ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે જુલાઈમાં થયેલા એક રાજદ્વારી વિવાદ બાદ આ બંને ફ્રૅન્ચ કર્મચારીઓને ઈરાન પરત ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
20 જુલાઈએ, ફ્રાન્સના વિદેશ મંત્રી જીન-નોયેલ બૅરોટએ ઈરાનનાં સુરક્ષાદળો પર આરોપ મૂક્યો હતો કે તેમણે ફ્રૅન્ચ દૂતાવાસના બે કર્મચારીઓને "ડરાવ્યા અને ધમકાવ્યા" હતા.
બીજી તરફ, ઈરાને ફ્રાન્સ પર ઈરાનના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ કરવાનો અને પ્રભાવ પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
ઝારખંડ : વિદ્યાર્થી આંદોલન વચ્ચે સરકારે 44 ભરતી પરીક્ષાઓ રદ કરી

ઇમેજ સ્રોત, HemantSorenJMM X/ANI
ઝારખંડ સરકારે વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે મંગળવારે મોડીરાત્રે અનિયમિતતાઓને કારણે 44 ભરતી પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લીધો છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સરકારે મોડીરાત્રે આ અંગે માહિતી આપતી આઠ અલગ-અલગ નૉટિફિકેશનો જાહેર કર્યાં હતાં. રદ કરાયેલી પરીક્ષાઓમાં ઝારખંડ લોક સેવા આયોગ (જેપીએસસી) અને આઉટસોર્સ એજન્સી ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (ટીડીપીએલ) દ્વારા વર્ષ 2014 પછી આયોજિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.
સરકારના નિર્ણય મુજબ નીચેનાં સહિત અનેક પદોની ભરતી માટે યોજાયેલી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે:
- ડ્રગ ઇન્સ્પેક્ટર
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- ડેપ્યુટી કલેક્ટર
- ડેન્ટલ ડૉક્ટર
- આસિસ્ટન્ટ એન્જિનિયર
- સિવિલ જજ
- ઍડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર
- ફૉરેસ્ટ રેન્જ ઑફિસર
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત, સરકારી પોલિટૅક્નિક સંસ્થાઓમાં:
- લેક્ચરર
- સિનિયર સાયન્ટિફિક ઑફિસર
- આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ
સહિત અનેક વહીવટી અને ટેકનિકલ પદો માટે યોજાયેલી પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી છે.
સરકાર દ્વારા જાહેર કરાયેલાં ન જણાવાયું છે કે જેપીએસસી અને જેએસએસસીમાં થયેલી અનિયમિતતાઓ સંબંધિત કેસોની ઝડપી સુનાવણી માટે હાઇકોર્ટને ફાસ્ટ-ટ્રેક કોર્ટની રચના કરવા વિનંતી કરવામાં આવશે.
તેની સાથે જ જેપીએસસી અને જેએસએસસીમાં ઇન્ટરનલ વિજિલન્સ સેલ પણ સ્થાપવામાં આવશે.
બીજી તરફ, વરિષ્ઠ આઈએએસ અધિકારી અમિતાભ કૌશલની અધ્યક્ષતામાં જેપીએસસી અને જેએસએસસીમાં સુધારાઓ માટે રચાયેલી સમિતિને બે મહિનાની અંદર પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે.
ઈરાન સાથે મધ્યપૂર્વના આ દેશે વેપારી અને નાણાકીય વ્યવહારો સ્થગિત કર્યા

ઇમેજ સ્રોત, Antonio Masiello/Getty Images
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ ઈરાન સાથેના તમામ વેપારી અને નાણાકીય વ્યવહારો આગામી આદેશ સુધી સ્થગિત કરવાની જાહેરાત કરી છે.
સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ, યુએઈના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે પ્રદેશમાં વધતા તણાવ તથા શાંતિ અને સુરક્ષા માટે ઊભા થયેલાં જોખમોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ જાહેરાતના થોડા કલાકો પહેલાં યુએઈના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે ઈરાને યુએઈ તરફ બે બૅલિસ્ટિક મિસાઇલ છોડી હતી.
જોકે, ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ યુએઈના આ દાવાને ફગાવી દીધો છે.
બીજી તરફ, યુએઈનું કહેવું છે કે એક મિસાઇલ યુએઈના પ્રાદેશિક જળસીમા બહાર પડી હતી, જ્યારે બીજી મિસાઇલ દેશની જળસીમાની અંદર આવીને પડી હતી.
ઉલ્લેખનીય છે કે મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુએઈ એવા દેશોમાં સામેલ રહ્યું છે, જેને ઈરાનના હુમલાઓનો સૌથી વધુ સામનો કરવો પડ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























