રામમંદિર ટ્રસ્ટના પ્રથમ CEO બનશે જીતેન્દ્ર મિશ્ર, 'ઑપરેશન સિંદૂર'માં મહત્ત્વની ભૂમિકા - ન્યૂઝ અપડેટ

અયોધ્યાના રામ મંદિરમાં દાન ચોરીના કેસ બાદ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલીવાર સીઈઓ (મુખ્ય કાર્યકારી અધિકારી)ની નિમણૂક કરી છે.

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અયોધ્યાના રામમંદિરમાં દાન ચોરીના કેસ બાદ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પહેલીવાર સીઈઓ (મુખ્ય કાર્યકારી અધિકારી)ની નિમણૂક કરી છે.

ટ્રસ્ટે આ પદ માટે વાયુ સેનાના પૂર્વ ઍર માર્શલ જિતેન્દ્ર મિશ્રની પસંદગી કરી છે. મિશ્ર આ જ વર્ષે મે મહિનામાં વેસ્ટર્ન ઍર કમાન્ડના કમાન્ડિંગ-ઇન-ચીફના પદ પરથી રિટાયર થયા હતા.

રામમંદિર ટ્રસ્ટના કાર્યકારી મહામંત્રી કૃષ્ણ મોહને ટ્રસ્ટની બેઠક બાદ એક પત્રકારપરિષદમાં આ નિર્ણયની જાણકારી આપી હતી.

ગયા વર્ષે પહેલગામ ઉગ્રવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ શરૂ થયો ત્યારે મિશ્ર વેસ્ટર્ન ઍર કમાન્ડના પ્રમુખ હતા.

ટ્રસ્ટે બોર્ડમાં ત્રણ નવા સભ્યોનો પણ સમાવેશ કર્યો છે. જેમાં અયોધ્યાના મદન મોહન પાંડે, દિલ્હીના મહેશ ભાગચંદકા અને શિકોહાબાદનાં નિર્મલા યાદવ પણ સામેલ છે.

મંદિરના દાનની ચોરી બાદ, ટ્રસ્ટના મહા મંત્રી ચંપત રાયે 27 જૂનના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ ટ્રસ્ટની બેઠક 6 જુલાઈના રોજ યોજાઈ હતી.

ટ્રમ્પ: 'મારે ઈરાન સાથે કોઈ સમજૂતી કરવી નથી'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ ઈરાનને કોઈપણ પ્રકારની વાતચીત માટે ચર્ચાના મંચ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા નથી.

મંગળવારની રાત્રે ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' પર એબીસી ન્યૂઝની તે રિપોર્ટને નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું પ્રશાસન ઈરાનને વાતચીત માટે મજબૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેમણે કહ્યું કે તેમને ઈરાન સાથે કોઈ સમજૂતી કરવાની કોઈ ચિંતા નથી.

ટ્રમ્પે લખ્યું, "એબીસીએ આપેલા રિપોર્ટ ફેક ન્યૂઝ છે. હું ઈરાનને ચર્ચાની મેજ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યો નથી."

તેમણે આગળ કહ્યું, "મને વર્તમાન સ્થિતિ વધુ પસંદ છે, જ્યાં હોર્મુઝ જળમાર્ગ પર અમારું લગભગ સંપૂર્ણ નિયંત્રણ છે અને ઈરાનની અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે ધરાશાયી થઈ રહી છે. તેઓ માત્ર એવી પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે જેને ટાળી શકાય તેમ નથી."

ટ્રમ્પે અંતમાં લખ્યું, "આખરે ઈરાનના લોકો ક્યારે અવાજ ઉઠાવશે અને પોતાના હકો માટે લડશે?"

આ ટિપ્પણીઓથી થોડા કલાકો પહેલાં ટ્રમ્પે હોર્મુઝ નજીક આવેલા ઈરાનના ઠેકાણાં પર અમેરિકાના નવા હુમલાઓને યોગ્ય ઠેરવ્યા હતા.

તેમણે ચેતવણી આપી હતી કે જો ઈરાન જવાબી કાર્યવાહી કરશે તો અમેરિકા તેના કરતાં પણ વધુ કડક હુમલા કરશે.

ઈરાને કહ્યું છે કે અમેરિકાએ તે સ્થળને નિશાન બનાવ્યું હતું જ્યાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો અને સામાન્ય નાગરિકો હાજર હતા.

અમેરિકાના હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી મુજબ આ હુમલામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે.

નેપાળ પૂરમાં મૃત્યુઆંક 1100ને પાર પહોંચ્યો

નેપાળ

ઇમેજ સ્રોત, Reuters

નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર મંગળવાર સાંજ સુધીમાં પૂરથી 1,127 મૃતદેહો મળી આવ્યા છે. મૃત્યુઆંક હજુ વધુ વધી શકે છે.

સેંકડો લોકોનો હજુ સુધી ગુમ છે. નેપાળ પોલીસની વેબસાઇટ અનુસાર 4,858 લોકો ગુમ છે અને તેમની શોધખોળ ચાલુ છે.

વડા પ્રધાન બાલેન શાહએ જણાવ્યું છે કે સરકાર હવે શોધખોળ, બચાવ કામગીરી અને રાહત સામગ્રીના વિતરણ બાદ અસરગ્રસ્ત લોકોના પુનર્વસન તરફ આગળ વધી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે શોધ અભિયાન હજુ પણ ચાલુ છે. એવી આશંકા છે કે ગુમ થયેલા ઘણા લોકો હજુ પણ જળવિદ્યુત પરિયોજનાઓની સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી વિદેશી ટીમો પણ આ અભિયાનમાં મદદ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું છે કે નદીમાંથી મળેલા અજાણ્યા મૃતદેહોને રાખવા માટે અસ્થાયી વ્યવસ્થા કરવામાં આવી છે. અત્યાર સુધી મળેલા મૃતદેહોમાંથી માત્ર થોડાકની જ ઓળખ થઈ શકી છે.

પોલીસે જણાવ્યું છે કે જો ગુમ થયેલા નેપાળી અથવા વિદેશી નાગરિકોના નજીકના રક્તસંબંધીઓ ડીએનએ તપાસની માંગ કરે, તો તેમના તાજા લોહીના નમૂનાઓ લેવામાં આવી શકે છે.

અમેરિકન હુમલાના જવાબમાં ઈરાને કાર્યવાહી કરતા કહ્યું: 'અમેરિકાને પસ્તાવું પડશે'

આઇઆરજીસીએ જણાવ્યું છે કે અમેરિકાને આ હુમલા બદલ "પસ્તાવું" પડશે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આઈઆરજીસીએ જણાવ્યું છે કે અમેરિકાને આ હુમલા બદલ "પસ્તાવું" પડશે (ફાઇલ ફોટો)

અમેરિકી સેનાએ મંગળવારે ઈરાન પર ફરી હુમલા શરૂ કર્યા હોવાનું અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું છે.

સેન્ટકૉમના જણાવ્યા મુજબ, આ હુમલા ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી) દ્વારા હોર્મુઝ સામુદ્રધુનીમાં વેપારી જહાજો પર તાજેતરમાં કરવામાં આવેલા "હુમલાના પ્રયાસો" બાદ કરવામાં આવ્યા છે.

ઈરાનની રેડ ક્રેસન્ટના જણાવ્યા અનુસાર, અમેરિકી હુમલામાં ચાર લોકોનાં મોત થયાં છે, જેમાં એક નાના બાળકનો પણ સમાવેશ થાય છે. જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

ઈરાની રેડ ક્રેસન્ટે જણાવ્યું કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં અમેરિકન મિસાઇલ હુમલા બાદ તેના છરા ત્યાં ચાલી રહેલા એક લગ્ન સમારંભ દરમિયાન એક ઘરમાં જઈ પડ્યા હતા. આ ઘટનામાં લોકોનાં મોત થયાં અને અનેક લોકો ઘાયલ થયા.

જવાબમાં ઈરાને ઇરાક અને જૉર્ડનમાં આવેલાં અમેરિકી સૈન્ય મથકો પર હુમલા કર્યા હોવાનું સ્થાનિક સરકારી મીડિયા અને જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું છે.

આ ઉપરાંત કુવૈત અને બહરીનમાં પણ હુમલાના અહેવાલો સામે આવ્યા છે.

આઇઆરજીસીએ જણાવ્યું છે કે, "અમેરિકાને આ હુમલા બદલ પસ્તાવો કરવો પડશે."

ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી તસ્નીમના જણાવ્યા મુજબ, બુધવારે વહેલી સવારે ઈરાને સિરિક પર થયેલા હુમલાના જવાબમાં જૉર્ડનના અકાબા ખાતે આવેલા અમેરિકી મરીન બેઝ પર બૅલિસ્ટિક મિસાઇલોના હુમલા કર્યા હતા.

જૉર્ડનનાં સશસ્ત્ર દળોએ જણાવ્યું કે તેણે 13 બૅલિસ્ટિક મિસાઇલોને રોકી હતી. તેમાંથી 10 મિસાઇલોને નષ્ટ કરાઈ હતી, જ્યારે ત્રણ મિસાઇલો દૂરના વિસ્તારોમાં પડી હતી.

ઈરાનના આ હુમલામાં કોઈનાં મોત કે ઈજા થયાના અહેવાલ નથી.

આ દરમિયાન કુવૈતની સેનાએ જણાવ્યું છે કે બુધવારે વહેલી સવારે ઈરાન તરફથી કરવામાં .આવેલા મિસાઇલ હુમલાના જવાબમાં તેની ઍર ડિફેન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવી હતી.

જર્મનીએ રશિયા પર ઍરપૉર્ટ પર હુમલાનો આરોપ લગાવ્યો, પુતિને આપ્યો આ જવાબ

4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ ઍરપૉર્ટ પર ડ્રોન હુમલો થયો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ ઍરપૉર્ટ પર ડ્રોન હુમલો થયો હતો

જર્મનીએ દાવો કર્યો છે કે ગયા મહિને લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલાની ઘટના પાછળ રશિયાનો હાથ હતો.

4 ઑગસ્ટે પૂર્વ જર્મનીમાં આવેલા લીપઝિગ/હાલે ઍરપૉર્ટ પર એક ડ્રોન મળ્યું હતું. તેમાં વિસ્ફોટક સામગ્રી લગાવાઈ હતી અને તે યુક્રેનના કાર્ગો વિમાનોની નજીક હતું.

ડ્રોનમાં વિસ્ફોટ થયો નહોતો, કારણ કે માનવામાં આવી રહ્યું છે કે તેનું ડેટોનેટર ખરાબ હતું. તપાસકારોને શંકા છે કે બીજું એક ડ્રોન નજીકમાં આવેલા કાર્ગો વિમાન સાથે અથડાયું હતું.

આ ઘટનાના લગભગ 10 દિવસ બાદ ઍરપૉર્ટ નજીક ત્રીજું ડ્રોન પણ મળી આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

જર્મનીના ગૃહમંત્રી ઍલેકઝાન્ડર ડોબ્રિન્ટે જણાવ્યું હતું કે લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલો હુમલો યુરોપમાં રશિયાની "હાઇબ્રિડ પ્રવૃત્તિઓની લાંબા સમયથી ચાલતી વ્યૂહરચના"નો એક ભાગ હતો.

તેમણે કહ્યું, "એ માનીને ચાલવું જોઈએ કે જર્મનીને ફરીથી નિશાન બનાવાઈ શકે છે."

બીજી તરફ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મંગળવારે આરોપ લગાવ્યો હતો કે જર્મનીએ લીપઝિગ ઍરપૉર્ટ પર થયેલા ડ્રોન હુમલા માટે રશિયાને જવાબદાર ઠેરવવાના હેતુથી પુરાવા ગોઠવ્યા (પ્લાન્ટ કર્યા) છે.

જોકે, પુતિને પોતાના આ આરોપના સમર્થનમાં કોઈ પુરાવા રજૂ કર્યા નહોતા.

દરમિયાન બર્લિનસ્થિત રશિયન દૂતાવાસે પણ હુમલામાં રશિયાની સંડોવણીના આરોપોને "હાસ્યાસ્પદ" ગણાવ્યા હતા.

જર્મન ગૃહમંત્રી ડોબ્રિન્ટે કહ્યું કે ડ્રોનમાં વપરાયેલાં ઉપકરણોની તપાસ અને ગુપ્તચર માહિતી પરથી આ હુમલામાં રશિયાની ભૂમિકા હોવાનું સ્પષ્ટ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન