અમેરિકામાં મોહન ભાગવતના વિઝા રદ કરવાની માગ કોણે અને શા માટે કરી? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Punit PARANJPE / AFP via Getty Images
યુએસ કમિશન ઑન ઇન્ટરનૅશનલ રિલિજિયસ ફ્રીડમ (યુએસસીઆઇઆરએફ)એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતના અમેરિકા પ્રવાસ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ આયોગે બુધવારે અમેરિકી સરકારને મોહન ભાગવતનો વિઝા રદ કરવાની અને ભવિષ્યમાં તેમને અમેરિકા પ્રવેશ માટે અયોગ્ય જાહેર કરવાની માગ કરી છે.
યુએસસીઆઇઆરએફે પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે "આરએસએસ સાથે સંકળાયેલાં સંગઠનોના સભ્યોએ ભારતમાં ખ્રિસ્તીઓ, દલિતો, મુસ્લિમો અને શીખો સહિતના ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધ હિંસક હુમલા કર્યા છે."
આયોગ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારની નીતિઓ આરએસએસની હિંદુત્વ વિચારધારા સાથે નજીકથી જોડાયેલી છે અને તેની અસર ધાર્મિક લઘુમતી સમુદાયો પર 'ભેદભાવપૂર્ણ' રીતે પડે છે.
યુએસસીઆઇઆરએફના ચેરપર્સન આસિફ મહમૂદે કહ્યું, "ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ સતત બગડી રહી છે અને ધાર્મિક લઘુમતીઓને નિશાન બનાવવા માટે હિંસા તેમજ ઉશ્કેરણીજનક ગતિવિધિઓનો ઉપયોગ કરાઈ રહ્યો છે."
તેમણે અમેરિકન સરકારને આરએસએસના સભ્યો અને ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં કથિત રીતે સંડોવાયેલા ભારતીય અધિકારીઓ પર લક્ષિત પ્રતિબંધો (ટાર્ગેટેડ સેન્ક્શન) લાદવાની અપીલ પણ કરી હતી.
આયોગે ભારત સરકાર પર ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ થતી ટોળાશાહી હિંસાને રોકવામાં, તેની તપાસ કરવામાં અને દોષિતોને સજા અપાવવામાં નિષ્ફળ રહેવાનો આરોપ મૂક્યો છે.
યુએસસીઆઇઆરએફે એવો પણ આરોપ લગાવ્યો છે કે આસામમાં એનઆરસી અને સીએએ હેઠળ 'મુસ્લિમ નાગરિકોને બળજબરીપૂર્વક બહાર કરાઈ' રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુએસસીઆઇઆરએફનાં વાઇસ ચેરપર્સન સી.સી. હેલે જણાવ્યું, "અમેરિકન સરકાર પાસે ભારતને જવાબદાર ઠેરવવાની અને એ સંદેશ આપવાની તક છે કે અમેરિકા ભારતના લોકોની ધાર્મિક સ્વતંત્રતાના સમર્થનમાં ઊભું છે."
આયોગે પોતાની 2026ના વાર્ષિક અહેવાલમાં અમેરિકાના વિદેશ વિભાગને ભારતને 'કન્ટ્રી ઑફ પાર્ટિક્યુલર કન્સર્ન' (એવો દેશ જ્યાં ધાર્મિક સ્વતંત્રતાનાં ગંભીર ઉલ્લંઘન થતાં હોય) તરીકે જાહેર કરવાની ભલામણ પણ કરી છે.
નેપાળમાં પૂરને લીધે અબજો રૂપિયાનું નુકસાન

ઇમેજ સ્રોત, Sunil Pradhan/Anadolu via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નેપાળમાં બુધવારે આવેલા ભયાનક પૂરના લીધે માર્ગો અને પુલોને ભારે નુકસાન થયું છે. પ્રારંભિક અંદાજ મુજબ, આ પૂરના કારણે આશરે 15 અબજ નેપાળી રૂપિયાનું નુકસાન થયું છે.
માર્ગ વિભાગના મહાનિદેશક વિજય જૈસીએ બીબીસી નેપાળી સાથે વાતચીત દરમિયાન આ માહિતીની પુષ્ટિ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે પૂરના કારણે અત્યાર સુધીમાં 19 પુલ અને લગભગ 40 કિલોમીટર માર્ગને નુકસાન થયું છે. તેમના જણાવ્યા મુજબ, નુકસાનનો અંદાજ હાલમાં પ્રારંભિક તબક્કામાં છે અને તેમાં વધુ વધારો થવાની શક્યતા છે.
પુલોને નુકસાન પહોંચતાં અનેક વિસ્તારોમાં માર્ગ-સંપર્ક ખોરવાઈ ગયો છે. સંપર્ક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ગુરુવારથી બેલી બ્રિજ (સ્ટીલથી બનેલો હંગામી અને મૉડ્યુલર પુલ) સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
વિજય જૈસીએ જણાવ્યું કે નેપાળ પાસે બેલી બ્રિજ ઉપલબ્ધ છે. ઉપરાંત, ભારત અને ચીનને પણ બેલી બ્રિજ ઉપલબ્ધ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે.
નેપાળના રસુવા જિલ્લામાં ભોટેકોશી નદીમાં આવેલા પૂરના કારણે દેશના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે તબાહી થઈ છે.
નેપાળમાં સરકારી અધિકારીઓ અનુસાર પૂરમાં ઓછામાં ઓછા 157 લોકોનાં મૃત્યુ થયાં છે અને સેંકડો લોકો ગુમ છે.
રાહત અને બચાવકાર્ય ચાલુ છે, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે મૃત્યુઆંક વધી શકે છે.
અત્યાર સુધી વહીવટી તંત્ર અનુસાર 404 લોકો ગુમ છે જેમાંથી 341 વિદેશી નાગરિકો છે. ગુમ થયેલા લોકોમાં અનેક ભારતીયો પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















