વેનેઝુએલા, કોલંબિયા અને પેરુમાં એક બાદ એક ભૂકંપો કેમ આવ્યા હતા?

10 ઑગસ્ટે આવેલા ભૂકંપના મૃતકો માટે પરેરામાં વર્જિન ઑફ પોવર્ટીની પ્રતિમા સામે પ્રાર્થના કરતા લોકો. વર્જિન ઑફ પોવર્ટી શહેરની સંરક્ષક સંત છે.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, 10 ઑગસ્ટે આવેલા ભૂકંપના મૃતકો માટે પરેરામાં વર્જિન ઑફ પોવર્ટીની તસવીર સામે પ્રાર્થના કરતા લોકો. વર્જિન ઑફ પોવર્ટી શહેરની સંરક્ષક સંત છે.
    • લેેખક, અલેહાન્દ્રા માર્ટિન્સ અને વિઝ્યુઅલ જર્નાલિઝમ ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ મુંડો
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

ઉત્તર વેનેઝુએલામાં જૂન મહિનામાં સતત આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના વિનાશક ભૂકંપોમાં 6,000થી વધુ લોકોનાં મોત થયાં હતાં. ઑગસ્ટમાં પશ્ચિમ કોલંબિયામાં આવેલા 7.4ની તીવ્રતાના ભૂકંપમાં 300થી વધુ લોકોનાં મોત થયાં હતાં. એ જ મહિને પેરુના એન્ડીઝ વિસ્તારમાં આવેલા અયાકુચોમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમાં કોઈનું મૃત્યુ થયું નહોતું, પરંતુ અનેક લોકો ઘાયલ થયા હતા.

એક પછી એક આવેલા આ ભૂકંપોને પગલે કેટલાક વાચકોએ બીબીસી મુન્ડોનો સંપર્ક કરીને એકસરખી ચિંતા વ્યક્ત કરી હતી: શું આ ભૂકંપો એકમેક સાથે સંકળાયેલા છે?

યુએસ જિયોલોજિકલ સર્વે (યુ.એસ.જી.એસ.)ના અર્થક્વેક ઇન્ફર્મેશન સેન્ટરના ભૂભૌતિકશાસ્ત્રી રાફેલ અબ્રેઉએ બીબીસી મુન્ડોને જણાવ્યું, "અમે જે જાણીએ છીએ અને જેના આધારે જવાબ આપી શકીએ છીએ, તે મુજબ આ ભૂકંપો વચ્ચે કોઈ સંબંધ નથી."

તેમણે કહ્યું, "આ બધા ભૂકંપો વચ્ચે કોઈ સંબંધ હોય તો પણ, વર્તમાન વૈજ્ઞાનિક જ્ઞાનના આધારે એવો કોઈ સંબંધ હોવાનું કહી શકાય તેમ નથી."

ચિલીની યુનિવર્સિટી ઑફ કોન્સેપ્સિયોનના ભૂભૌતિકશાસ્ત્ર વિભાગનાં પ્રાધ્યાપક ઇગ્નાસિયા કાલિસ્ટોએ બીબીસી મુન્ડોને જણાવ્યું કે, "વેનેઝુએલા, કોલંબિયા અને પેરુમાં આવેલા ભૂકંપો એકમેક સાથે ડોમિનો ઇફેક્ટથી સંકળાયેલા હોવાના કોઈ પુરાવા મળતા નથી."

તેમણે સમજાવ્યું, "આ ભૂકંપો ટેક્ટોનિક રીતે અત્યંત સક્રિય વિસ્તારોમાં આવે છે. અહીં ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે સતત ભૂકંપ આવતા રહે છે."

અબ્રેઉ આ સમજાવવા માટે અલગ-અલગ ઝડપે ચાલતી ત્રણ સમાંતર ઉત્પાદન પ્રક્રિયાઓનું ઉદાહરણ આપે છે.

"ધારો કે દરેક ઉત્પાદન લાઇનના અંતે તૈયાર થતું ઉત્પાદન એક ભૂકંપ છે. હવે એવું બને કે કોઈ એક સમયે ત્રણેય લાઇનના છેડે એ ઉત્પાદન નીચે પડી જાય. કાં તો ત્રણેય એક સાથે પડે અથવા ખૂબ જ થોડા સમયના અંતરે."

અબ્રેઉ ઉમેરે છે કે આ ત્રણ ભૂકંપ બાબતે પણ એમ જ બન્યું હતું.

"વેનેઝુએલામાં આવેલા ભૂકંપોને કારણે કોલંબિયા અને પેરુમાં ભૂકંપ આવ્યા નહોતા. અને વેનેઝુએલામાં આવેલા ભૂકંપો પણ એ પહેલાં આવેલા કોઈ ભૂકંપને કારણે આવ્યા નહોતા."

"આ ભૂકંપો જે સમયે આવ્યા, તે દરેક વિસ્તારમાં રહેલી ટેક્ટોનિક પરિસ્થિતિને કારણે આવ્યા હતા. એક ભૂકંપની બીજા પર કોઈ અસર થઈ નહોતી."

પૃથ્વીના પેટાળમાં પ્લેટો એકબીજા સાથે કેમ અથડાય છે?

કોલંબિયામાં 10 ઑગસ્ટે આવેલા ભૂકંપથી પરેરા સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં શહેરોમાંનું એક હતું. આ ભૂકંપમાં 300થી વધુ લોકોનાં મોત થયાં હતાં.

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં 10 ઑગસ્ટે આવેલા ભૂકંપથી પરેરા સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં શહેરોમાંનું એક હતું. આ ભૂકંપમાં 300થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વેનેઝુએલા, કોલંબિયા અને પેરુમાં આવેલા ભૂકંપોની ભૂસ્તરીય લાક્ષણિકતાઓ એકબીજાથી અલગ છે.

વેનેઝુએલામાં 39 સેકન્ડના અંતરે આવેલા સતત બે ભૂકંપોની વાત કરીએ તો, તે જમીનની સપાટીની નજીક આવેલા ભૂકંપ હતા. તેમના કેન્દ્રની ઊંડાઈ આશરે 10 કિલોમીટર હતી અને તેઓ કૅરિબિયન પ્લેટ તથા દક્ષિણ અમેરિકન પ્લેટ વચ્ચેની ટેક્ટોનિક સીમા પર આવ્યા હતા.

બીજી તરફ, કોલંબિયા અને પેરુમાં આવેલા ભૂકંપો નાઝકા પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ વચ્ચેની સીમા પર આવ્યા હતા. તેમના કેન્દ્રની ઊંડાઈ અનુક્રમે 110 અને 99 કિલોમીટર હતી.

પ્લેટો વચ્ચેની આંતરક્રિયાનો પ્રકાર પણ અલગ છે.

વેનેઝુએલામાં આવેલા ભૂકંપોમાં પ્લેટો વચ્ચેની હિલચાલ આડી હતી. અંગ્રેજીમાં તેને "સ્ટ્રાઇક-સ્લિપ" કહેવામાં આવે છે.

અબ્રેઉ સમજાવે છે, "સ્ટ્રાઇક-સ્લિપ આડી દિશામાં થતી હિલચાલવાળો ફૉલ્ટ છે. ખડકના બે ખંડ છે. એક ખંડ છે કૅરિબિયન પ્લેટ અને બીજો દક્ષિણ અમેરિકન પ્લેટ. આ કિસ્સામાં બંને પ્લેટો એકબીજાની પાસેથી વિરુદ્ધ દિશામાં સરકતી જાય છે."

કોલંબિયા અને પેરુના કિસ્સામાં નાઝકા પ્લેટ અને દક્ષિણ અમેરિકન પ્લેટ વચ્ચેની સીમા અથવા સંપર્કસ્થાન "જેને આપણે કન્વર્જન્ટ માર્જિન કહીએ છીએ તે પ્રકારનું છે. તેમાં બે પ્લેટ એકબીજા સાથે અથડાય છે."

"તમારી પાસે એક મહાસાગરીય પ્લેટ (નાઝકા પ્લેટ) છે, જેની ખડકની રચના એક પ્રકારની છે, જ્યારે તમારી પાસે ખંડીય પોપડો (દક્ષિણ અમેરિકન પ્લેટ) છે, જેની ખડકની રચના અલગ પ્રકારની છે."

"આ બંનેના સંપર્કસ્થાને જે થઈ રહ્યું છે તેને આપણે સબડક્શન નામની પ્રક્રિયા કહીએ છીએ. મહાસાગરીય પ્લેટ વધુ ઘન અને ભારે હોય છે અને તે બીજી પ્લેટ સાથે અથડાય ત્યારે નીચેની તરફ ધસવા લાગે છે. તેથી બંને પ્લેટો વચ્ચેની સીમા કે સંપર્કસ્થાન હવે પૃથ્વીની સપાટી પર રહેતું નથી. તે ત્રાંસું થઈ જાય છે અને તેના કારણે આ સમગ્ર સંપર્કસ્થાન પર ભૂકંપ આવતા રહે છે."

આફ્ટરશૉક્સનો ભૂંકપો વચ્ચે શો સંબંધ હોઈ શકે?

કોલંબિયામાં 10 ઑગસ્ટે આવેલા ભૂકંપના બીજા દિવસે પરેરામાં બચી ગયેલા લોકોને શોધવાની કામગીરી.

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, કોલંબિયામાં 10 ઑગસ્ટે આવેલા ભૂકંપના બીજા દિવસે પરેરામાં બચી ગયેલા લોકોને શોધવાની કામગીરી.

હા, એવી એક સ્થિતિ છે જેમાં એક ભૂકંપ બીજા ભૂકંપને "ટ્રિગર" કરે છે અને તે છે આફ્ટરશૉક્સની સ્થિતિ. પરંતુ આફ્ટરશૉક્સ મુખ્ય ભૂકંપની જગ્યા અને સમયની દૃષ્ટિએ તેની નજીકના વિસ્તારમાં જ આવે છે.

અબ્રેઉ કહે છે, "મુખ્ય ભૂકંપ પછી આવતા નાના ભૂકંપોને આફ્ટરશૉક્સ કહેવામાં આવે છે."

કાલિસ્ટો સમજાવે છે કે, "આફ્ટરશૉક્સ પોતે જ મોટા ભૂકંપનું પરિણામ હોય છે. જે ખડકમાં તિરાડ પડી હોય અને જે ખસી ગયો હોય, તેમાં એક પ્રકારની પુનઃગોઠવણ થતી હોય છે. તેથી ભૂકંપ આવ્યા પછી તેના આફ્ટરશૉક્સ ભૂકંપનું જ પરિણામ હોય છે."

"તેથી એવું કહી શકાય કે એક ભૂકંપ તેના આફ્ટરશૉક્સને 'ટ્રિગર' કરે છે, પરંતુ અહીં 'ટ્રિગરિંગ ઇવેન્ટ'ની વિભાવના લાગુ પડતી નથી. આ પ્રક્રિયા વાસ્તવમાં પુનઃગોઠવણની છે."

"સિસ્મિક ડબલેટ્સના કિસ્સામાં પહેલો ભૂકંપ બીજા ભૂકંપને ટ્રિગર કરી શકે છે, પરંતુ બંને ભૂકંપ સ્થળ અને સમય, બંનેની દૃષ્ટિએ એકબીજાની ખૂબ નજીક હોય છે."

યુનિવર્સિટી ઑફ કોન્સેપ્સિયોનના નિષ્ણાત સ્પષ્ટ કરે છે કે એવા પુરાવા છે કે "મોટા ભૂકંપ પછી તેના કારણે થયેલી તિરાડની સીમાઓ પર કાયમી તણાવ પેદા થઈ શકે છે. આ તણાવ નજીકના અન્ય વિસ્તારોને અસર કરી શકે છે અને પહેલેથી જ તણાવગ્રસ્ત વિસ્તારમાં વધુ તણાવ પેદા કરી શકે છે. પરિણામે, ત્યાં ભૂકંપ આવવાની શક્યતા પણ વધી શકે છે. (ઉદાહરણ તરીકે, 2004, 2005 અને 2007માં સુમાત્રામાં આવેલા ભૂકંપો; 2007માં બે ભૂકંપ આવ્યા હતા.)"

"એ કિસ્સામાં એવું કહી શકાય કે પુનઃગોઠવણની અસર બીજા વિસ્તાર સુધી પહોંચી છે. પરંતુ તેને ખરેખર આફ્ટરશૉક કહી શકાય નહીં, કારણ કે તે બીજા વિસ્તારમાં આવ્યો છે. આમ છતાં, બંને વચ્ચે સંબંધ છે."

ભૂકંપોની લોકો પર કેવી અસર પડી?

કાતિયા લા માર શહેર વેનેઝુએલાના લા ગુઆઇરા રાજ્યમાં આવેલું છે. એક પછી એક આવેલા બે ભૂકંપથી આ શહેર સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં શહેરોમાંનું એક હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કાતિયા લા માર શહેર વેનેઝુએલાના લા ગુઆઇરા રાજ્યમાં આવેલું છે. એક પછી એક આવેલા બે ભૂકંપથી આ શહેર સૌથી વધુ અસરગ્રસ્ત થયેલાં શહેરોમાંનું એક હતું.

વેનેઝુએલા, કોલંબિયા અને પેરુ ઉપરાંત, તાજેતરમાં લેટિન અમેરિકાના અન્ય દેશોમાં પણ ભૂકંપે લોકોમાં ભય ફેલાવ્યો છે અને નુકસાન કર્યું છે.

જેમ કે, 24 ઑગસ્ટે કોસ્ટા રિકાના સાન હોસે પ્રાંતમાં માત્ર બે મિનિટના અંતરે 5.4 અને 4.8ની તીવ્રતાના બે ભૂકંપ આવ્યા હતા. નૅશનલ સિસ્મોલોજિકલ નેટવર્ક (આર.એસ.એન.) દ્વારા નોંધાયેલા આંકડા અનુસાર, બંને ભૂકંપે સમગ્ર વિસ્તારને ધ્રુજાવી દીધો હતો.

26 ઑગસ્ટે કોલંબિયામાં 5.1ની તીવ્રતાનો વધુ એક ભૂકંપ નોંધાયો હતો. બોગોટા સહિત દેશના મધ્ય અને ઉત્તર-પૂર્વના વિસ્તારોમાં આ ભૂકંપના ભારે આંચકા અનુભવાયા હતા.

જોકે, આંકડાકીય દૃષ્ટિએ જોઈએ તો નોંધાયેલા ભૂકંપની સંખ્યા વાર્ષિક સરેરાશની અંદર જ છે, એમ અબ્રેઉ કહે છે. તેમાં વેનેઝુએલા, કોલંબિયા અને પેરુમાં આવેલા 7થી વધુની તીવ્રતાના ભૂકંપોનો પણ સમાવેશ થાય છે.

કાલિસ્ટો સમજાવે છે કે છેલ્લાં છ વર્ષમાં દક્ષિણ અમેરિકામાં વેનેઝુએલા, કોલંબિયા અને પેરુમાં આવેલા ભૂકંપો જેટલી તીવ્રતા ધરાવતા સરેરાશ બે ભૂકંપ દર વર્ષે આવ્યા છે.

"ખાસ કરીને કોલંબિયા અને પેરુ સબડક્શન ઝોનમાં આવેલા હોવાથી અહીં ભૂકંપ આવવાનું પ્રમાણ વધારે છે. જોકે, ભૂકંપની તીવ્રતા વધતી જાય તેમ તેમની સંખ્યા ઘટતી જાય છે."

"જોકે, આ ખાસ કિસ્સાઓમાં આવેલા ભૂકંપો (ઇન્ટ્રાપ્લેટ ભૂકંપ) પ્લેટોના સંપર્કસ્થાને થતા ભૂકંપ જેટલા સામાન્ય નથી. તેમ છતાં, આ વિસ્તારોમાં આવા ભૂકંપ આવવાની સંભાવના સાવ સ્વાભાવિક છે."

"વેનેઝુએલાના કિસ્સામાં પ્લેટો એકબીજાને અડીને આડી દિશામાં આવેલી હોવાથી આવા ભૂકંપો પણ વારંવાર આવે છે. ભૂતકાળમાં વેનેઝુએલામાં આવા ડબલેટ્સ પણ આવી ચૂક્યા છે."

બીબીસી મુન્ડો સાથે વાત કરનારા નિષ્ણાતોનું કહેવું છે કે અહીં એક એવી ઘટના બની છે, જે હવે ભૂસ્તરશાસ્ત્રના ક્ષેત્રને બદલે લોકોની ધારણા સાથે સંબંધિત છે.

અબ્રેઉ કહે છે, "બન્યું એવું છે કે ત્રણ એવી ઘટનાઓ બની, જેની અસર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારો પર થઈ અને તેના કારણે નોંધપાત્ર નુકસાન થયું. આ ઘટનાઓ અંગે થયેલી વ્યાપક ચર્ચાને કારણે લોકોમાં એવી છાપ ઊભી થઈ છે કે ભૂકંપો આવવાની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ વાસ્તવમાં એવો કોઈ વધારો થયો નથી."

વેનેઝુએલાના લા ગુઆઇરા રાજ્યના કારાબાયેદા શહેરમાં સ્વયંસેવકો અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વેનેઝુએલાના લા ગુઆઇરા રાજ્યના કારાબાયેદા શહેરમાં સ્વયંસેવકો અને બચાવ કામગીરીમાં જોડાયેલા લોકો.

કાલિસ્ટોના જણાવ્યા અનુસાર, "દરેક સામાજિક-કુદરતી આપત્તિ પછી આવા વિષયોમાં લોકોની રુચિ વધે છે. લોકો આ બાબતો વિશે વધુ વિચારવા લાગે છે, ખાસ કરીને એવા વિસ્તારોમાં જ્યાં ભૂકંપ આવી શકે છે તેની આપણને જાણ હોય."

"આથી જ આ વિષયો અંગે લોકોને શિક્ષિત કરવાનું ખૂબ મહત્ત્વનું છે. માત્ર વ્યક્તિગત સ્તરે જ નહીં, પરંતુ કુદરતી જોખમો અને જોખમ ઘટાડવાના ઉપાયો સાથે જાહેર નીતિઓ પણ સુસંગત રહે તે માટે પણ આ જરૂરી છે."

લોકોમાં ઊભી થયેલી આ ધારણા છતાં, દક્ષિણ અમેરિકામાં નોંધાયેલા ભૂકંપની સંખ્યા અસામાન્ય નથી, એમ અબ્રેઉ કહે છે.

"અગાઉ પણ ઘણા અત્યંત મોટા ભૂકંપ આવ્યા છે, પરંતુ તે દૂરના વિસ્તારોમાં આવ્યા હતા અને તેથી તેની અસર લોકો પર થઈ નહોતી. મારે એવા ભૂકંપો શોધવા પડે છે, પરંતુ બીજા કોઈને તેની જાણ પણ થતી નથી."

તેઓ ઉમેરે છે, "હવે આ ત્રણ ભૂકંપ એવા વિસ્તારોમાં આવ્યા છે, જ્યાં લોકો વસવાટ કરે છે અને તેની અસર સમુદાયો પર થઈ છે. એટલે લોકો કહે છે, 'અરે, એક મિનિટ, આ શું થઈ રહ્યું છે?' આ એવું કંઈક છે જે આંકડાકીય રીતે વહેલું-મોડું થવાનું જ હતું."

"પરંતુ એવું નથી કે ભૂકંપો આવવાની સંખ્યામાં વધારો થયો છે. તેમ જ એક વિસ્તારમાં આવેલા ભૂકંપો બીજા વિસ્તારોમાં અસર કરી રહ્યા છે અથવા ત્યાંની સ્થિતિને અસ્થિર બનાવી રહ્યા છે એવું પણ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન