માયાવતીએ 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવીને શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં વડાં માયાવતીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવ્યા છે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં વડાં માયાવતીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવ્યા છે
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

બહુજન સમાજ પાર્ટી (બીએસપી)નાં વડાં માયાવતીએ દિલ્હીના જંતર-મંતર ખાતે યોજાયેલા 'અનામત હઠાવો આંદોલન' પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

માયાવતીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું, "દિલ્હીના જંતર-મંતર ખાતે બંધારણ હેઠળ એસસી, એસટી અને ઓબીસી સમાજને આપવામાં આવેલી અનામતના વિરોધમાં તાજેતરમાં ભેગા થયેલા કેટલાક લોકો દ્વારા આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની ઉઠાવેલી નવી માગ યોગ્ય નથી અને દેશહિતમાં પણ નથી."

માયાવતીએ કહ્યું કે, "સદીઓથી જાતિગત ભેદભાવ અને સામાજિક અસમાનતાનો ભોગ બનતા એસસી, એસટી અને ઓબીસી સમુદાયો માટે અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે."

તેમના જણાવ્યા મુજબ, "અનામત અંગે એવું કોઈ પગલું ભરવું જોઈએ નહીં, જે સમાન સમાજ-નિર્માણના બંધારણીય લક્ષ્યને નુકસાન પહોંચાડે."

તેમણે આર્થિક ધોરણે અનામત આપવાની માગ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.

માયાવતીનું કહેવું છે કે ગરીબ લોકોની સહાય માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પહેલેથી જ અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે. જો આ યોજનાઓનો લાભ ગરીબો સુધી યોગ્ય રીતે પહોંચતો ન હોય, તો તેની જવાબદારી સરકારી તંત્ર અને તેમાં રહેલા ભ્રષ્ટાચારની છે.

ઓડિશા પાસે દરિયામાં કાર્ગો જહાજ ડૂબ્યું, 24 સભ્યોમાંથી બે લોકોનો બચાવ

ઓડિશા નજીક સમુદ્રમાં ડૂબ્યું કાર્ગો જહાજ, 24 ક્રૂ સભ્યો હતા, બે લોકોને બચાવવામાં આવ્યા, અન્ય લોકો ગુમ

ઇમેજ સ્રોત, Costfoto/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, પનામાના ધ્વજવાળું કાર્ગો જહાજ 'ઓસિયન વિનર' શનિવારે બંગાળની ખાડીમાં ડૂબી ગયું (પ્રતીકાત્મક તસવીર)

પનામાના ધ્વજવાળું કાર્ગો જહાજ 'ઓસિયન વિનર' શનિવારે બંગાળની ખાડીમાં ડૂબી ગયું.

સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને હવાલાથી જણાવ્યું છે કે આ દુર્ઘટના ઓડિશાના પારાદીપ કિનારાથી લગભગ 240 નૉટિકલ માઈલ (444 કિમી) દૂર થઈ હતી.

જહાજમાં 24 ક્રૂ સભ્યો હતા, જેમાં 20 ચીની, ત્રણ મ્યાનમારના અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે.

સમાચાર એજન્સી રૉયટર્સે અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બાકીના ગુમ છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે જહાજ ઓડિશાથી સિંગાપોર આયર્ન ઓર લઈ જઈ રહ્યું હતું.

અકસ્માત બાદ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડનો આ જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીનો નકશો બહાર પાડ્યો

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીનો નકશો બહાર પાડ્યો, તેને પોતાનો પ્રદેશ ગણાવ્યો

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર હોર્મુઝ સામુદ્રધુનીનો નકશો શૅર કર્યો. તે નક્શા પર "અમેરિકાનો નવો પ્રદેશ" લખેલું છે.

ટ્રમ્પે હોર્મુઝ સામુદ્રધુની પર વર્તુળ દોરીને દર્શાવતો એક ફોટો શૅર કર્યો છે. આ પોસ્ટ તેમનાં તાજેતરનાં નિવેદનો પછી આવી છે.

ટ્રમ્પે શુક્રવારે એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, "હું હવે હોર્મુઝ સામુદ્રધુનીને અમેરિકાના જ એક પ્રદેશ તરીકે જાહેર કરું છું."

ટ્રમ્પનું નિવેદન અને નવી પોસ્ટ એવા સમયે આવી છે જ્યારે હોર્મુઝ સામુદ્રધુની પર અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચાલુ છે.

આ માર્ગ પરથી પસાર થતા ઑઇલ ટૅન્કરો અને અન્ય વાણિજ્યિક જહાજોની અવરજવર પણ ઘણી ઓછી થઈ ગઈ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની સામુદ્રધુનીનો નકશો બહાર પાડ્યો, તેને પોતાનો પ્રદેશ ગણાવ્યો

ઇમેજ સ્રોત, realDonaldTrump

હોર્મુઝ સામુદ્રધુની એક આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ છે, જેની એક બાજુ ઈરાન અને બીજી બાજુ ઓમાન છે. તે ખાડી દેશોમાંથી વિશ્વના બાકીના ભાગોમાં મોટા પ્રમાણમાં ઑઇલ અને ગૅસનું વહન થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન