નેપાળ-તિબેટ પૂર પાછળ કયું કારણ જવાબદાર, વૈજ્ઞાનિકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાથમિક તપાસમાં નેપાળ-તિબેટ બૉર્ડર પર અચાનક આવેલા પૂર માટે હિમખંડ (ગ્લૅશિયર) તૂટી પડવાની સંભાવના તરફ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે. બીબીસીને વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ ખુલાસો હિમાલયમાં ઝડપથી પીગળી રહેલા બરફના મુદ્દા તરફ ધ્યાન દોરે છે.
ભૂકંપના પ્રારંભિક અહેવાલોએ ઘણાને લાગ્યું હતું કે આંચકાના કારણે આ ભૂસ્ખલન થયું હતું, જેના કારણે આવેલું પૂર 350થી વધુ લોકોનાં મૃત્યુનું કારણ બન્યું.
જોકે, યુએસ જિયૉલૉજિકલ સર્વેએ (યુએસજીએસ) બાદમાં સ્પષ્ટતા કરી કે આ આપત્તિ "હિમખંડ તૂટી પડવાને" લીધે આવી હતી.
યુએસજીએસના ડેટા અને આ ઘટનાનું વિશ્લેષણ કરનારા વૈજ્ઞાનિકો પ્રમાણે આ તૂટી પડેલો હિમખંડ જ્યારે સપાટીને અથડાયું ત્યારે તેની ઇમ્પેક્ટ એટલી બધી શક્તિશાળી હતી કે તેના કારણે 5.2નો આંચકો નોંધાયો.
યુનિવર્સિટી ઑફ ડંડી સાથે સંકળાયેલા એક હિમખંડ નિષ્ણાત ડૉ. સાઇમન કુકે બીબીસીને જણાવ્યું કે તેમની ટીમને જોવા મળ્યું કે નેપાળમાં લાંગટાંગ લિરુંગ શિખર પાસે હિમખંડનો નીચેનો ભાગ જે પૂર આવ્યું એ સ્થળથી લગભગ 15 કિમીના અંતરે આવેલું છે, તે તૂટી પડ્યો છે.
તેમણે અનુમાન લગાવતાં કહ્યું કે આ હિમખંડ ઉત્તરપશ્ચિમ દિશામાં તૂટી પડ્યો અને એ બાદ પશ્ચિમ દિશામાં નદીના વહેણમાં નીચેની તરફ આવ્યો.
આંતર-સરકારી વૈજ્ઞાનિક સંસ્થા ઇન્ટરનૅશનલ સેન્ટર ફૉર ઇન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટ (આઇસીઆઇએમઓડી)ના વિશ્લેષણ મુજબ આ આપત્તિ "ઊંચાઈએ આવેલા પ્રદેશમાંથી પેદા થયેલો હિમ ખડકોના હિમપ્રપાત"ને કારણે થઈ હોઈ શકે.
જેના કારણે ભોટે કાશીની શાખા નદી લેંડે ખોલામાં ભારે પ્રમાણમાં બરફ અને ખડકનો કચરો ધસી આવ્યો હશે, જેના કારણે નદીમાં વહેતા પાણી, કાંપ અને મોટા ખડકોના પ્રમાણમાં અચાનક વધારો થયો હશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેન્ટરને જાણવા મળ્યું કે 30 મિનિટના ગાળામાં જ તળેટીના ભાગે નદીના પાણીની સપાટી સાતથી નવ મીટર સુધી વધી હતી અને ઘણાં વૉટર મૉનિટરિંગ સ્ટેશનો કાં તો ધોવાઈ ગયાં અને કાં તો નુકસાન પામ્યાં.
આ વિસ્તાર પર્વતોથી ગેરાયેલો છે અને પૂરના વીડિયોમાં કચરો અને પાણી નદીના વહેણ સાથે તીવ્ર ગતિએ નીચે આવતાં જોવા મળે છે.

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બુધવારે આ હિમખંડ શા કારણે તૂટી પડ્યું એ હજુ અસ્પષ્ટ છે.
પરંતુ વૈજ્ઞાનિકો વર્ષોથી હિમાલયમાં ક્લાઇમેટ ચેન્જ અને વધતા તાપમાનને કારણે બરફ અને પર્માફ્રોસ્ટના (સ્થાયીપણે થીજી ગયેલી ભૂમિ) ઓગળવા મામલે ચેતવી રહ્યા છે.
આ વર્ષે થોડા સમય પહેલાં આઇસીઆઇએમઓડી દ્વારા જાહેર કરાયેલ એક વિશ્લેષણમાં જણાયું હતું કે હિંદુ કુશ હિમાલયના હિમખંડો વર્ષ 2000થી બમણી ગતિએ ઓગળી રહ્યા છે. જેના કારણે પૂરનાં જોખમો વધુ વિકટ બને છે.
ડૉક્ટર કુકે એ વાત તરફ ધ્યાન દોર્યું કે તાજેતરનાં વર્ષોમાં ભારત, સ્વિટર્ઝલૅન્ડ અને ઇટાલીમાં પણ આ રીતે હિમખંડ તૂટી પડવાને કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ બની છે.
વર્ષ 2021માં ઉત્તર ભારતના ચમોલી ખાતે હિમાલયના હિમખંડનો એક વિશાળ ટુકડો તૂટી પડતા તળેટીમાં કચરાવાળા પાણીના જળપ્રપાતને કારણે 200 લોકોનાં મૃત્યુ થયાં હતાં. વૈજ્ઞાનિકોએ બાદમાં અનુમાન કર્યું કે હિમખંડ તૂટી પડવાનો આંચકો 15 પરમાણુ બૉમ્બ બ્લાસ્ટ જેટલો હતો.
નેપાળમાં પણ, તિબેટમાં હિમખંડ તળાવ ફાટવાને કારણે આ ક્ષેત્રમાં ગત વર્ષે પણ પૂર આવ્યું હતું.
આઇસીઆઇએમઓડીના નિષ્ણાત મોહમ્મદ ફારુક આઝમે કહ્યું કે ક્રાયોસ્ફિયર એટલે કે પૃથ્વીના થીજી ગયેલા ભાગોમાં આપત્તિઓની વધતી તીવ્રતા "પહેલાંની સરખામણીએ હવે વધુ જોવા મળી રહી છે. પરિવર્તનોની ગતિ એટલી તીવ્ર છે કે ચાલુ પ્રયાસો ટૂંકા પડી રહ્યા છે."
ડૉ. કુકે કહ્યું, કોઈ એક ઘટના ક્લાઇમેટ ચેન્જના કારણે બની હોવાનું કહેવું એ અઘરું હોવા છતાં "જ્યારે તમે આ ઘટનાઓની પૅટર્ન જુઓ તો એવો વિચાર આવે છે કે ક્લાઇમેટ ચેન્જની અસર હોઈ શકે ખરી."
"તર્ક એ છે કે ગરમ થતા જતા ગ્રહની સાથે તમને હિમખંડો ઘટતા અને મોટા પ્રમાણમાં બરફ ઓગળતો દેખાશે. પર્વતના ઢોળાવોને કેટલાક અંશે એક સાથે પકડી રાખતા પર્માફ્રોસ્ટ ગરમ થઈ રહ્યા છે, ઓગળી રહ્યા છે અને વિઘટિત થઈ રહ્યા છે."
"તેથી તમને વધુને વધુ ભૂસ્ખલન, કચરો વહીને આવવો, હિમખંડ ઓગળવાથી નીકળતા પાણીનો પ્રવાહ, તળાવ ફાટવાની ઘટના, હિમખંડ તૂટી પડવાની ઘટના જોવા મળશે, કારણ કે ક્લાઇમેટ વૉર્મિંગ છેલ્લે તો આવા ઊંચા પર્વતીય વાતાવરણને અસંતુલિત બનાવી દે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















