You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
21 વર્ષમાં 25 ટ્રાન્સફર, હવે ભેળસેળ સામે મોરચો ખોલીને ખડભડાટ મચાવનાર IAS તુકારામ મુંઢે કોણ છે?
મુંબઈ સહિત મહારાષ્ટ્રનાં ઘણાં શહેરોમાં છેલ્લા કેટલાક દિવસથી આઈએએસ અધિકારી તુકારામ મુંઢેના નામની સતત ચર્ચા છે. આ આઇએએસ અધિકારીએ લીધેલા કેટલાક નિર્ણયોને કારણે દેશભરમાં સમાચારોમાં છવાઈ ગયા છે.
મહારાષ્ટ્રના સ્ટેટ ફૂડ ઍન્ડ ડ્રગ કમિશનર તરીકે તુકારામ મુંઢેની જ્યારે થોડા દિવસ પહેલાં નિમણૂક થઈ ત્યારે તેમને 'ડિમોશન' જેવું કામ સોંપાયું એવી ચર્ચા શરૂ થઈ હતી.
પરંતુ કમિશનર તરીકે ચાર્જ સંભાળ્યા પછી તેમણે દાખવેલી કડકાઈના કારણે ચારેકોર તેમનું નામ ચર્ચાવા લાગ્યું છે.
તેમણે અનેક દુકાનો, રેસ્ટોરાંને કેમિકલયુક્ત પદાર્થો, ભેળસેળયુક્ત ઘી-દૂધ, નકલી દવાઓ, ગેરકાયદેસર ગુટખા વગેરેના વેચાણને લઈને સીલ કરી દીધી છે.
તેમણે મોટી-મોટી રેસ્ટોરાં અને મોંઘીદાટ હોટેલોમાં પણ ફૂડ સેફ્ટીને લઈને કાર્યવાહી કરી છે. એ સિવાય અનેક લોકોને નોટિસ અપાઈ છે અને કેટલાકના લાયસન્સ પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
તુકારામ મુંઢેની કાર્યવાહીથી મુંબઈ, નાગપુર, પુણે, ઔરંગાબાદ જેવા શહેરોમાં રેસ્ટોરાં-દુકાનોના માલિકો મુશ્કેલીમાં મુકાયા છે. સોશિયલ મીડિયા પર તેમની આ કાર્યવાહીના ક્યાંક વખાણ તો ક્યાંક નિંદા થઈ રહી છે.
ત્યારે જાણીએ કે તુકારામ મુંઢે કોણ છે અને તેમની વારંવાર બદલીઓ કેમ થતી રહે છે?
25મી વાર બદલી થઈ
21 વર્ષના આઈએએસ અધિકારી તરીકેના કાર્યકાળમાં તુકારામ મુંઢેની કુલ 25 વખત બદલી થઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમની બદલીઓને કારણે અને કામ કરવાની સ્ટાઇલને કારણે તેઓ સતત ચર્ચામાં રહે છે.
બે મહિના અગાઉ તેમની વિકલાંગ કલ્યાણ વિભાગના સચિવમાંથી ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગના કમિશનર તરીકે બદલી થઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું હતું કે, "વારંવાર થતી બદલીઓથી મને કોઈ ફેર પડતો નથી. બદલાવ એ પ્રગતિનો એક ભાગ છે. મારી જેટલી વધારે ટ્રાન્સફર થશે એટલે વધુ તક મને મળશે અને હું સકારાત્મક બદલાવો લાવી શકીશ."
તુકારામ મુંઢે કોણ છે?
2008માં એક યુવાન અધિકારી નાગપુર જિલ્લા પરિષદના વડા તરીકે જોડાય છે. આવતાવેંત જ તેઓ તેમનું ધ્યાન શિક્ષકો પર કેન્દ્રિત કરે છે.
તેમણે શિક્ષકોને શાળાએ સમયસર પહોંચવાનો આદેશ કર્યો અને ડ્રેસ કૉડ પણ નક્કી કર્યો.
તેમણે આદેશ જાહેર કર્યો કે 10 વાગ્યા સુધીમાં શિક્ષકો શાળાએ નહીં આવે તો શાળાના દરવાજા 10 વાગ્યા પછી પાંચ મિનિટ રહીને બંધ થઈ જશે. શિક્ષકો આ સાંભળીને ચોંકી ગયા.
તેમણે જિલ્લા પરિષદની મોટી મોટી મુશ્કેલીઓનું સમાધાન લાવી દીધું. તેના કારણે જિલ્લા પરિષદને ISO સર્ટિફિકેશન પણ મળ્યું. આ યુવાન અધિકારી તુકારામ મુંઢે હતા.
મોટી મૂંછ, ફ્રેમલેસ ચશ્માં, કડક બાંધો અને વાતચીતે ઉષ્માભર્યા તુકારામ મુંઢે મરાઠવાડાના બીડના વતની છે.
તેમના પિતા ખેડૂત હતા અને તેમનું બાળપણ ખેતીમાં પસાર થયું હતું. તેમના ભાઈ જ્યારે એમપીએસસીની પરીક્ષા પાસ કરીને અધિકારી બન્યા, એ પછી તુકારામે પણ આવું કંઈક સ્વપ્ન જોયું હતું.
તેમણે આર્ટ્સમાં અભ્યાસ કર્યો. શરૂઆતમાં તેમણે જ્યાં સુધી યુપીએસસીની પરીક્ષા પાસ નહોતી કરી ત્યાં સુધી તેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા.
મે, 2004માં તેમણે આ પરીક્ષા ઑલ ઇન્ડિયા રૅન્ક-20 સાથે પાસ કરી હતી.
સામાન્ય રીતે તુકારામ મુંઢેની કાર્યપ્રણાલી પહેલેથી અલગ રહી છે. જ્યાં પણ તેમને મૂકવામાં આવે ત્યાં સિસ્ટમમાં તેઓ ફફડાટ પેદા કરે છે.
અખબારોની કૉલમોમાં તેમના સમાચારો છપાતા રહે છે. પછી તેમની ટ્રાન્સફર થઈ જાય તો એના પણ સમાચારો છપાય છે. લોકો તેમની ટ્રાન્સફરનો વિરોધ કરે તો એ પણ ન્યૂઝ બને છે.
તુકારામના અનેક કિસ્સાઓ
એક વખતે તેઓ વાશિમ જિલ્લા પરિષદના મુખ્ય અધિકારી હતા ત્યારે તેમણે ગ્રામ સેવક યુનિયનના પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા હતા. આ પ્રમુખે તુકારામ પર પેપરવેઇટ ફેંક્યું હતું.
2010માં તેમને ખાદી વિકાસ મહામંડળમાં મોકલવામાં આવ્યા. તેમણે આ સંસ્થાને નફો કરતી કરવામાં મોટો ફાળો ભજવ્યો.
2011માં જ્યારે તેઓ જાલનાના જિલ્લા કલેક્ટર બન્યા ત્યારે પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં ભાગ ભજવ્યો અને પાણીના પુરવઠામાં એજન્ટોની મોનોપૉલી તોડી નાખી. સોલાપુરમાં તેમણે વર્ષો સુધી કામ કર્યું.
તેમણે નાસિક, નવી મુંબઈ અને નાગપુર જેવી મોટી મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર તરીકે પણ ફરજ બજાવી હતી.
કૉર્પોરેટરો અને મેયરો સાથે વિવાદ, કૉર્પોરેટરો સાથે સારી રીતે વ્યવહાર ન કરવો, સત્તાવાળાઓ સાથે વિવાદો, દરેક જગ્યાએ ચીવટની અપેક્ષા, કડકાઈ અને સસ્પેન્શનો, ઘમંડી વર્તન વગેરેને કારણે તેઓ સતત ચર્ચામાં રહ્યા હતા.
તેમની સામે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન