એશિયાના હવામાનમાં હલચલ : એક અઠવાડિયું અને ત્રણ-ત્રણ વાવાઝોડાં ત્રાટક્યાં, 280 ગતિએ પવન ફૂંકાયો

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

હાલના સમયમાં એશિયાના હવામાનમાં ભારે હલચલ જોવા મળી રહી છે. દક્ષિણપૂર્વ એશિયાના ભાગોમાં ઘણો વરસાદ પડી રહ્યો છે, અહીં એક જ અઠવાડિયામાં ત્રણ વાવાઝોડાં નોંધાયાં છે.

દક્ષિણ જાપાનમાં 'ડૉલ્ફિન' નામનું વાવાઝોડું અને જાપાનના કિનારાના પ્રદેશમાં 'ચાન-હોમ' નામનું વાવાઝોડું ત્રાટક્યું હતું. તેમજ ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં પેલુ વાવાઝોડું પણ સર્જાયું હતું.

ચીનના પૂર્વીય અને મધ્યના કેટલાક ભાગોમાં આવેલા ડૉલ્ફિન વાવાઝોડાને કારણે ચીનના કેટલાક ભાગોમાં મુશળધાર વરસાદ અને પૂર આવ્યા હતાં.

બીજિંગમાં આવનારા 24 કલાક દરમિયાન પણ સરેરાશ વાર્ષિક વરસાદના ત્રીજા ભાગથી પણ વધુ જેટલો વરસાદ પડવાની શક્યતા છે.

જોકે રવિવારે દરિયાકાંઠે ત્રાટકતાં ડૉલ્ફિન વાવાઝોડું નબળું પડી ગયું છે.

જાપાનમાં ચાન-હોમ નામનું વાવાઝોડું દેશમાં ભારે તબાહી મચાવી રહ્યું છે, હવામાન અધિકારીઓએ ભૂસ્ખલન, નદીઓ છલકાઈ જવી અને નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવવાની ચેતવણી પણ આપી છે.

તો ફિલિપાઇન્સમાં ડૉલ્ફિન સહિતના પ્રશાંત મહાસાગરમાં આવેલા વાવાઝોડાને કારણે એક અઠવાડિયાથી સતત વરસતાં વરસાદને કારણે કમસે કમ 26 લોકોનાં મોત થયાં છે. ત્રીજું વાવાઝોડું પેલુ દેશના પૂર્વ કિનારાથી પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.

એશિયામાં હાલમાં વાવાઝોડાં કેમ સર્જાઈ રહ્યાં છે?

છેલ્લા અઠવાડિયામાં આપણે જોયેલાં વાવાઝોડાં અચાનક કે અણધાર્યાં આવ્યાં નથી.

ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં ઑગસ્ટ મહિનામાં લાંબા સમય સુધી વાવાઝોડાં આવ્યાં છે, જેમાં મુખ્યત્વે ચીન, જાપાન, ફિલિપાઇન્સ અને વિયેતનામ જેવા દેશો પ્રભાવિત થયા છે.

જોકે, હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વખતે સિઝનમાં આવેલાં વાવાઝોડાં સામાન્ય કરતાં વધુ તીવ્ર રહ્યાં છે.

લંડનસ્થિત ફોરકાસ્ટર 'ટ્રોપિકલ સ્ટૉર્મ રિસ્ક'ની આગાહી છે કે આ સિઝન અત્યાર સુધીની સૌથી વધારે આવેલા વાવાઝોડા તરીકે ગણી શકાય છે, જેમાં વાવાઝોડાં વારંવાર અને મજબૂત રીતે આવ્યાં છે.

આ વાવાઝોડાંની પાછળનું કારણ જૂન મહિનાથી શરૂ થયેલી 'અલ નીનો છે, આ એટલું મજબૂત કે કેટલાક નિષ્ણાત તો તેને "ગોડઝિલા અલ-નીનો" તરીકે વર્ણવી રહ્યા છે.

આને કારણે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે, જે વાવાઝોડાની શક્તિ વધારે છે.

એક અઠવાડિયામાં એશિયામાં ત્રણ વાવાઝોડાં આવ્યાં

પ્રશાંત મહાસાગરમાં વાવાઝોડાની સિઝન તેના ચરમ પર પહોંચી છે.

અહીંયાં વાવાઝોડાં પશ્ચિમ પ્રશાંત પર સર્જાઈને પશ્ચિમ તરફ ફિલિપાઇન્સ, જાપાન, હૉંગકૉંગ, ચીન અને વિયેતનામ તરફ આગળ વધતાં હોય છે.

'ડૉલ્ફિન' વાવાઝોડું છેલ્લા કેટલાક દિવસોમાં તે જ રસ્તે આગળ વધ્યું હતું, જે રવિવારે ચીનના પૂર્વ કિનારે ત્રાટકતાં પહેલાં જાપાનના દક્ષિણમાં આવેલા ટાપુઓ અને ફિલિપાઇન્સના ઉત્તર ભાગમાંથી પસાર થયું હતું. આ વાવાઝોડું એક સમયે કેટેગરી 5 સુધી પહોંચી ગયું હતું અને એક સમયે તેના પવનની ગતિ 280 કિલોમીટરની આસપાસ પહોંચી હતી.

રવિવારે જ ઉત્તર-પશ્ચિમ પ્રશાંત મહાસાગરમાં પેલુ વાવાઝોડું પણ રચાયું હતું. જોકે જમીન પર ત્રાટક્યા વગર તે નબળું પડી ગયું છે.

દક્ષિણ જાપાન જ્યારે ડૉલ્ફિનનો સામનો કરી રહ્યું હતું, ત્યારે મંગળવારે 'ચાન-હોમ' વાવાઝોડું જાપાનની તટીય પ્રદેશ પર ત્રાટક્યું હતું.

ચીનના સરકારી મીડિયાએ ડૉલ્ફિન, ચાન-હોમ અને પેલુને ત્રણ વાવાઝોડાં ગણાવ્યાં હતાં, જોકે આ ત્રણેય વાવાઝોડાં હવે નબળાં પડી ગયાં છે.

આ વાવાઝોડાં વ્યાપક પૂર, દરિયાઈ મોજાં અને ભૂસ્ખલનનું કારણ બની શકે છે. ખાસ કરીને જ્યારે તે ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ત્રાટકે ત્યારે તે જીવલેણ બની શકે છે.

ફિલિપાઇન્સમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 26 લોકોનાં મોત થયાં છે, જેમાંથી ઘણાનાં મોત ભૂસ્ખલનને કારણે થયાં છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

હાલ વાવાઝોડાંની શું સ્થિતિ છે?

આ વર્ષે ચીનમાં ત્રાટકેલું સૌથી શક્તિશાળી વાવાઝોડું ડૉલ્ફિન અંદરની તરફ આગળ વધતાં નબળું પડી ગયું છે.

પરંતુ ચીનના રાજ્ય મીડિયા અનુસાર, આગામી દિવસોમાં રાજધાની બીજિંગ સહિત ચીનના પૂર્વી અને ઉત્તરીય પ્રદેશોમાં વધુ વરસાદ પડવાની આગાહી છે.

રાજ્ય મીડિયાના અહેવાલ મુજબ, મંગળવાર સાંજથી ગુરુવાર વચ્ચે રાજધાનીના મોટા ભાગના ભાગમાં 150 મિમીથી વધુ વરસાદ પડવાની ધારણા છે. મધ્ય ચીનનાં કેટલાંક શહેરોમાં એક જ દિવસમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

કેટલીક ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે અને પૂરની ચેતવણી આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, ઘણાં જળાશયો તેની પૂર નિયંત્રણ મર્યાદા વટાવી ગયાં છે.

ચોથું વાવાઝોડું પણ રચાયું છે

એશિયામાં એકસાથે ત્રણ વાવાઝોડાં બાદ હવે અન્ય એક વાવાઝોડું પણ સર્જાઈ રહ્યું છે.

જાપાન હવામાન એજન્સી (જેએમએ)ના જણાવ્યા અનુસાર, જાપાનના દક્ષિણ ટાપુઓ નજીક વાવાઝોડું નંબર 17 (જેને નાંગકા તરીકે પણ ઓળખવામાં આવે છે) રચાયું છે.

ફિલિપાઇન્સના અધિકારીઓ કહે છે કે તેઓ તેનું પણ નિરીક્ષણ કરી રહ્યા છે.

જેએમએ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી દિવસોમાં આ વાવાઝોડું તેની તાકાત જાળવી રાખે તેવી અપેક્ષા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન