ચાલતી ટ્રેનમાં હવન કરવાનો વીડિયો વાઇરલ થયો, રેલવેએ શું કહ્યું?– ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેમાં ચાલતી ટ્રેનના કોચની અંદર ધાર્મિકવિધિ થતી જોવા મળે છે .

આ વીડિયો શેર કરીને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ પૂછી રહ્યા છે કે શું ચાલતી ટ્રેનની અંદર આવી ધાર્મિકવિધિઓ કરી શકાય?

આ વીડિયો વાયરલ થયા પછી, ઉત્તર રેલવેએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું હતું કે, "આ ધાર્મિકવિધિ ખાનગી રીતે બુક કરાયેલા સલૂન કોચમાં થઈ હતી, જેને 3 લાખ રૂપિયામાં બુક કરવામાં આવ્યો હતો."

"આ કોચ આઇઆરસીટીસી દ્વારા કૉમર્શિયલ બુકિંગ હેઠળ ફાળવવામાં આવ્યો હતો. તે 8 જુલાઈના રોજ રૂ. 3,08,580 ની ઍડવાન્સ રકમ સાથે બુક કરવામાં આવ્યો હતો."

આ ઉપરાંત ઉત્તર રેલવેએ કહ્યું છે કે, "મુસાફરોની સલામત મુસાફરી તેની જવાબદારી છે. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. વીડિયોમાં જે પૂજારી અભિષેક કરી રહ્યા છે એ સલૂન કોચની અંદર પૂજા કરી રહ્યા હતા."

સલૂન કોચ એ ટ્રેનનો એક ખાનગી અને અત્યાધુનિક ડબ્બો હોય છે જેને સામાન્ય રીતે વરિષ્ઠ અધિકારીઓ અને વીઆઈપી માટે બનાવવામાં આવોલો હોય છે.

તેમાં એક બેડરૂમ, નાનું રસોડું, લિવિંગ રૂમ અને ડાઇનિંગ રૂમ ઉપરાંત એટેચ્ડ વોશરૂમ જેવી સુવિધાઓ હોય છે.

પંચમહાલ : 'શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ'ને કારણે વધુ બે બાળકોનાં મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના ફરીથી કેસ સામે આવી રહ્યા છે અને મૃત્યુઆંક વધીને છ થયો છે. અગાઉ બે બાળકોના વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં મોત થયાં હતાં અને એક બાળકનું હિંમતનગરની સરકારી હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

હવે દાહોદ અને પંચમહાલ જિલ્લાના બીબીસી ગુજરાતીના સહયોગી દક્ષેશ શાહના જણાવ્યા પ્રમાણે ગોધરા તાલુકાના ચાંચપુર-મણિપુર ગામના એક વર્ષના સચીન રાઠવા અને કાલોલ તાલુકાના ઘોડા ગામના બે વર્ષના આશિષ નાયકનું કથિત ચાંદીપુરા વાઇરસને કારણે મોત થયું છે.

જોકે, રાજ્ય સરકાર આ બાળકોનાં મોત 'શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ'ને કારણે થયાં હોવાનું જણાવે છે.

ગુજરાત સરકારના વિભાગીય નિયામક ડૉ. સુરેન્દ્ર જૈને દક્ષેશ શાહને જણાવ્યું કે "13 શંકાસ્પદ કેસો નોંધાયા છે. તે પૈકી બે કેસ પૉઝિટીવ આવ્યા હતા. હજુ 6 કેસનો રિપોર્ટ આવવાનો બાકી છે. તે પૈકીનાં બે બાળકોનાં મોત થયાં છે. બે બાળકો સારવાર બાદ ઘરે મોકલવામાં આવ્યાં છે."

હિંમતનગર સિવિલ હૉસ્પિટલના રેસીડન્ટ મેડિકલ ઑફિસર (આરએમઓ) ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું કે, અત્યાર સુધી ચાંદીપુરા વાઇરસથી એક દર્દીનું મૃત્યુ થયું છે.

આ પહેલાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વીંઝોલ અને જીતપુરા ગામનાં બે બાળકોનાં ચાંદીપુરા વાયરસના પૉઝિટિવ રિપોર્ટ આવવાથી મૃત્યુ થયાં હતાં.

અગાઉ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે.

વિયેતનામ બોટ દુર્ઘટના : 15 ભારતીયોનાં મોત બાદ બોટના કૅપ્ટનની ધરપકડ

વિયેતનામના ફુ ક્વોક દ્વીપ પાસે એક સ્પીડબોટ અકસ્માતની દુર્ઘટના બાદ પોલીસે બોટના કૅપ્તન 'ગુયેન હૉંગ હાઈ'ને પકડી લીધો છે.

કૅપ્ટન પર સમુદ્ર અને જળમાર્ગ સુરક્ષા નિયમોના ઉલ્લંઘનનો આરોપ છે. તેમની પાસે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વિયેતનામના સંરક્ષણ મંત્રાલયના અખબાર 'પીપલ્સ આર્મી ન્યૂઝ-પેપર'એ કૅપ્ટનની ધરપકડની ખબરની પુષ્ટિ કરી છે.

અખબારના જણાવ્યા પ્રમાણે, ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિની ઓળખ કૅપ્ટન ગુયેન હૉંગ હાઈ (57) તરીકે થઈ છે. જે એનજિયાંગ પ્રાંતના સોન કિયેન કમ્યૂનના થુઆન તિએન ગામના રહેવાસી છે.

આ અકસ્માતમાં તામિલનાડુના દસ સહિત કુલ 15 વ્યક્તિઓનાં મોત થયાં હતાં.

ભારતીય દૂતાવાસે જણાવ્યું કે મરનારા લોકોમાં તામિલનાડુના દસ અને કેરળના બે તથા આંધ્ર પ્રદેશના ત્રણ લોકો સામેલ હતા.

થાઇલૅન્ડ: બૅંગકૉકના એક બારમાં આગ લાગતાં 27 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ

થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકના ચાતુચક વિસ્તારમાં આવેલા એક બારમાં સોમવાર મોડી રાત્રે ભીષણ આગ લાગતાં 27 લોકોનાં મોત થયાં છે.

આ દુર્ઘટનામાં 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉપરાંત, હજુ પણ કેટલાક લોકો ગુમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ફાયર બ્રિગેડને સોમવાર મધરાત બાદ આગ લાગ્યાની માહિતી મળી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે જોયું કે લોકો આગ અને ધુમાડાથી બચવા માટે બારના મુખ્ય દરવાજા મારફતે બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સામે આવેલા કેટલાક વિડિયોમાં બારમાંથી ઊઠતી આગની ઊંચી જ્વાળાઓ અને જીવ બચાવવા ભાગતા લોકો જોવા મળે છે. વીડિયોમાં કેટલાક લોકો ચીસો પાડતા અને પડી જતા પણ નજરે પડે છે.

ઘટનાસ્થળે પહોંચેલા થાઇલૅન્ડના વડાપ્ર ધાન અનુતિન ચર્નવીરાકુલએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 મૃતદેહો મળી આવ્યા છે અને ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આગ લાગવાનાં કારણોની તપાસ ચાલી રહી છે.

સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ફાયર બ્રિગેડે લગભગ અડધો કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લીધો, પરંતુ ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, મૃતકોમાં 9 પુરુષો અને 18 મહિલાઓ સામેલ છે.

વડા પ્રધાને જણાવ્યું કે આગ લાગતી વખતે બારમાં પ્રસ્તુતિ આપી રહેલા એક સંગીતકારની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સંગીતકારના જણાવ્યા પ્રમાણે, આગ સૌથી પહેલા વીજળીના કટ-આઉટ સ્વિચમાં લાગી હતી. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો અને થોડા જ પળોમાં સમગ્ર પરિસરમાં આગ અને ધુમાડો ફેલાઈ ગયો.

વડા પ્રધાને વધુમાં જણાવ્યું કે ઘણા લોકો બહાર નીકળવાને બદલે ઇમારતની પાછળની તરફ ગયા અને શૌચાલયોમાં છુપાઈ ગયા હતા. તેમના જણાવ્યા અનુસાર, મોટાભાગના મૃતદેહો ત્યાંથી જ મળી આવ્યા છે.

અમેરિકાના હુમલા બાદ ઈરાને ખાડીના દેશોને આપી આ ચેતવણી

ઈરાને ખાડીના દેશોને ચેતવણી આપી છે કે જો તેમણે ઈરાન સામે કોઈ પણ સૈન્ય કાર્યવાહીમાં સહયોગ આપ્યો કે તેમની જમીનનો ઉપયોગ કરવા દીધો, તો તેમને નિશાન બનાવાશે.

બીબીસી ફારસી સેવાના જણાવ્યા પ્રમાણે, અમેરિકા તરફથી થયેલા હાલના હુમલા બાદ ઈરાનના વિદેશ મંત્રાલયે આ ચેતવણી આપી છે.

ઈરાનના સરકારી મીડિયામાં જારી નિવેદનમાં વિદેશ મંત્રાલયે કહ્યું, "યુદ્ધવિરામ સમજૂતી પર હસ્તાક્ષર થયાને 25 દિવસ નથી થયા, પરંતુ અમેરિકાએ ખુલ્લેઆમ સમજૂતીની તમામ જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે."

યાનિર સિનરે સતત બીજી વખત જીત્યું વિમ્બલ્ડન ટાઇટલ

ઇટાલીના યાનિક સિનરે વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું છે. તેમણે ફાઇનલમાં જર્મનીના ઍલેક્ઝાન્ડરને હરાવ્યા.

સિનરે લંડનના સેન્ટર કોર્ટ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં ઍલેક્ઝાન્ડર જ્વેરેવને 6-7, 7-6, 6-3, 6-4થી પરાજય આપ્યો.

યાનિક સિનરનું આ સતત બીજી વખતનું વિમ્બલ્ડન ટાઇટલ છે અને પાંચમું ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ છે. સિનર આ પહેલાં 2025માં પણ વિમ્બલ્ડન ચૅમ્પિયન રહી ચૂક્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન