You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત સહિત ભારતમાં અનેક ભાગોમાં વાદળો ગાયબ, 'મોન્સૂન બ્રેક' એટલે શું?
- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
એક બાજુ ભારતનાં અનેક રાજ્યોમાં વરસાદથી સામાન્ય લોકોની સ્થિતિ ખરાબ છે, બીજી બાજુ હવામાન નિષ્ણાતો અનુસાર, પશ્ચિમ-ઉત્તર અને મધ્ય ભારતમાં 'મોન્સૂન બ્રેક'ને કારણે અનેક દિવસો સુધી વરસાદ ન પડે તેવી શક્યતા છે.
હવામાનમાં આવેલા પરિવર્તન પર નિષ્ણાતોએ ચિંતા કરી છે. ખાસ કરીને જ્યારે દેશમાં ચોમાસાનો વરસાદ પહેલેથી બહુ ઓછો પડ્યો છે.
હવામાન વિભાગે શનિવારે જણાવ્યું કે આગામી 6-7 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની પ્રદેશો, પશ્ચિમ-મધ્ય ભારત અને દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતમાં વરસાદ ઓછો પડે તેવી શક્યતા છે.
હવામાનમાં થયેલો ફેરફાર કેટલો ચિંતાજનક છે અને તેની અસર શું પડી શકે છે એ આ અહેવાલમાં જાણવાનો પ્રયાસ કરીએ.
એક બિનસરકારી સંસ્થા લાઇવ વેધર ઑફ ઇન્ડિયાના સંસ્થાપક નવદીપ દહિયાએ ઍક્સ પર લખ્યું કે "જુલાઈના બીજા અઠવાડિયાની સેટેલાઇટ તસવીર બહુ ચિંતાજનક દેખાઈ રહી છે."
"પશ્ચિમ ઘાટથી માંડીને દેશની અંદરના ચોમાસુ ભાગોમાં વરસાદના સંકેત નથી. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી, બંનેમાં વાદળોની ઉપસ્થિતિ બહુ ઓછી છે. સ્થિતિ 12 જુલાઈની જગ્યાએ 12 એપ્રિલની સવાર જેવી લાગે છે.
તેમના અનુસાર, "18 જુલાઈથી પહેલાં હવામાનની સ્થિતિમાં સુધારાની શક્યતા નથી."
હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે દિલ્હી-એનસીઆર અને દેશના અનેક ભાગોમાં થઈ રહેલો વરસાદ આગામી દિવસોમાં ઓછો થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હકીકતમાં આ ફેરફાર મોન્સૂન બ્રેકને કારણે છે. જોકે આ એક સામાન્ય ઘટના છે, પરંતુ આ વર્ષે એ અસામાન્ય છે.
હવામાનમાં ફેરફાર કેટલી મોટી ચિંતા?
સ્કાયમૅટ વેધરના પ્રમુખ અને હવામાન નિષ્ણાત મહેશ પલાવાતે બીબીસી ન્યૂઝ હિંદીને જણાવ્યું કે પશ્ચિમ-ઉત્તર અને મધ્ય ભારતમાં 19-20 જુલાઈ સુધી વરસાદની શક્યતા નથી.
તેના કારણે દિલ્હી એનસીઆર સમેત અનેક વિસ્તારોમાં વરસાદને અસર થશે. તેમજ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી રહી શકે છે.
તેઓ કહે છે, "મોન્સૂન બ્રેક જુલાઈ અને ઑગસ્ટમાં એક-બે વાર આવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી આખો મોન્સૂન બ્રેક નથી રહ્યો. હાલમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારત સુકા છે, પરંતુ પૂર્વીય ભારતમાં વરસાદ થઈ રહ્યો છે."
હાલ ચોમાસું સિઝન ચાલી રહી છે અને મોટા ભાગની ખેતી વરસાદ પર નિર્ભર રહેતી હોય છે. જોકે, વાવણીલાયક વરસાદ ન થવાથી ખેડૂતોની પણ ચિંતા વધી છે.
જોકે મહેશ પલાવતનું કહેવું છે કે ચોમાસું ફરીથી સક્રિય થયા બાદ આ વિસ્તારોમાં ફરીથી વરસાદની શક્યતા છે.
તેમના અનુસાર, "આ સ્થિતિમાં પહાડી વિસ્તારોમાં વધુ વરસાદ થાય છે, પરંતુ મધ્ય અને પશ્ચિમ ભારતમાં હવામાન લગભગ સંપૂર્ણ સૂકું થઈ જાય છે. આ દરમિયાન હ્યુમિડિટી ઓછી થઈ જાય છે. વરસાદ રોકાઈ જાય છે અને આકાશ સ્વચ્છ થઈ જાય છે, કેમ ભેજ નથી રહેતો."
"જ્યારે આ ચોમાસું દક્ષિણ તરફ જશે, જે 19-20 જુલાઈ આસપાસ થઈ શકે છે. ત્યારે એ વિસ્તારોમાં ફરીથી વરસાદ શરૂ થઈ શકે છે.
વરસાદ ખેંચાયો એ કેટલી મોટી ચિંતા?
વરસાદે વિરામ લેતા અનેક લોકોએ ચિંતા કરી છે.
ટીએમસીનાં રાજ્યસભાનાં સાંસદ સાગરિકા ઘોષે સોશિયલ મીડિયા ઍૅક્સ પર લખ્યું, "આ બહુ ચિંતાજનક સ્થિતિ છે. જુલાઈમાં નબળા ચોમાસાથી ખેતી, પાણી અને ગામના લોકોની રોજીરોટી પર જોખમ તોળાઈ રહ્યું છે. શું મોદી સરકાર પાસે કોઈ યોજના છે? હું સંસદમાં આ મુદ્દો ઉઠાવીશ."
સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ રહ્યું છે અને 13 ઑગસ્ટ સુધી ચાલશે. જોકે ત્યાં સુધી વરસાદ ફરી પડી શકે છે. જો આવું ન થાય તો સંસદમાં મુદ્દો જરૂર ઊઠી શકે છે.
ભારતમાં આ વર્ષે જૂન મહિનામાં સરેરાશથી અંદાજે 40 ટકા ઓછો વરસાદ પડ્યો છે. એ પછી 9 જુલાઈ સુધી દેશમાં સારો વરસાદ પડ્યો.
એ રીતે 9 જુલાઈ સુધીમાં વરસાદની સરેરાશ ઘટ 12 ટકા રહી ગઈ. હવે મોન્સૂન બ્રેકને કારણે વરસાદની ઘટ પર ફરી ચિંતાજનક સ્થિતિ પેદા થઈ શકે છે.
મહેશ પલાવત કહે છે, "મોન્સૂન બ્રેક દરેક વખતે થાય છે, પરંતુ આ આ વખતે અલ નીનોની અસર છે. ચોમાસું આમ પણ નબળું છે અને આ લાંબો વિરામ છે. ચોમાસાનો આટલો લાંબો વિરામ હોતો નથી."
"વરસાદ ચાર-પાંચ દિવસ ઉપરના વિસ્તારમાં જતો રહે છે અને પછી નીચે આવી જાય છે. પરંતુ આ વખતે એ દસ દિવસ રહેશે. એટલે ગાળો લાંબો થઈ જશે. આટલો ન હોવો જોઈએ."
તેમણે કહ્યું કે તેનાથી ચોમાસાના વરસાદી આંકડા વધુ નબળા પડી જશે.
અલ નીનો હવામાન સંબંધિત એક કુદરતી અને જટિલ ઘટના છે. આ મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરનાં દરિયાઈ પાણીથી સામાન્યથી વધુ ગરમ થવા પર સક્રિય થાય છે.
તેના પ્રભાવથી વૈશ્વિત તાપમાન વધી જાય છે. વરસાદી પવનો નબળા પડી જાય છે અને આખી દુનિયાના વરસાદી ચક્ર પર અસર પડે છે.
અલ નીનાના કારણે ભારતીય ઉપમહાદ્વીપમાં હવાનું દબાણ પ્રભાવિત થાય છે, જેનાથી ચોમાસું નબળું પડી જાય છે અને દેશના અનેક ભાગોમાં દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
મોન્સૂન બ્રેક શું હોય છે?
મોન્સૂન બ્રેક સામાન્ય રીતે હવામાન સંબંધિત ઘટના છે. કોઈ વધુ શક્તિશાળી પવનથી અસરથી મોન્સૂન બ્રેક લાગે એ કોઈ નવી વાત નથી.
મહેશ પલાવત કહે છે, "પવનની દિશાને કારણે મોન્સૂન બ્રેક આવે છે. જો પશ્ચિમના પવનો વધુ પ્રભાવશાળી થઈ જાય તો ચોમાસાની ટર્ફ રેખાને ઉપર તરફ લઈ જાય છે.
તેમનું કહેવું છે કે કોઈ નવી વરસાદી સિસ્ટમ બની જાય, એટલે કોઈ ચક્રવાતી દબાણનું ક્ષેત્ર બની જાય અને વધુ અસરદાર હોય તો તે વાદળોને નીચે તરફ ખેંચી લાવે છે.
તેઓ કહે છે, "જ્યારે બંગાળની ખાડીમાં કોઈ ચક્રવાતી સિસ્ટમ બનશે અને એ અંદરની તરફ આવશે તો ચોમાસાને ખેંચી લાવશે અને તેનાથી ફરી વરસાદ શરૂ થઈ જશે."
"હજુ ચોમાસાની પશ્ચિમ ટર્ફ રેખા પહાડો પર છે અને પૂર્વીય શાખા દક્ષિણ છે. આથી પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાં વરસાદ ચાલુ રહેશે. પણ ઘણા વિસ્તારોમાં સૂકા રહેશે."
અલ નીનોની અસર 2027 સુધી રહી શકે છે
આ વર્ષે હજુ સુધી ઓછો વરસાદ પડ્યો એનું કારણ અલ નીનોની અસર માનવામાં આવે છે.
11 જૂને પ્રકાશિત બીબીસીના એક અહેવાલ અનુસાર, અમેરિકાની નૅશનલ ઓશિયાનિક ઍન્ડ ઍટમૉસ્ફેરિક ઍડમિનિસ્ટ્રેશન (એનઓએએ)એ કહ્યું કે 2026ના બાકી મહિનામાં અલ નીનોની સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા છે.
અનેક પૂર્વાનુમાનો અનુસાર, આ અત્યાર સુધી નોંધાયેલી સૌથી શક્તિશાળી અલી નીનો ઘટનાઓમાંથી એક હોઈ શકે છે.
માનવીય ગતિવિધિઓને કારણે દાયકાઓથી વધી રહેલા વૈશ્વિક તાપમાન દરમિયાન વર્ષ 2027 સૌથી ગરમી બની શકે છે. તેની અસર હવામાન, ખાદ્ય પુરવઠો અને અર્થવ્યવસ્થાઓ પર પડવાની આશંકા છે.
એનઓએએના વિજ્ઞાનિકોએ મધ્ય ઉષ્ણકટિબંધીય પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્યથી 0.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયા બાદ અલ નીનોના નવા તબક્કાની શરૂઆતની પુષ્ટિ કરી છે.
વૈજ્ઞાનિકોએ વાયુમંડળની પરિસ્થિતિઓમાં ફેરફાર જોયો છે. પશ્ચિમ પ્રશાંતની તુલનામાં મધ્ય પ્રશાંત ક્ષેત્રમાં વાયુદબાણ ઓછું નોંધાયું છે.
જાપાન હવામાન વિજ્ઞાન એજન્સીએ પણ કહ્યું કે અલ નીનોની સ્થિતિ મોજૂદ છે.
એનઓએએ અનુસાર, આ અલ નીનોના 'વધુ શક્તિશાળી' બનવાની શક્યતા 63 ટકા છે.
એજન્સીએ કહ્યું કે જો આવું થાય તો એ 1950થી અત્યાર સુધી નોંધાયેલી સૌથી મોટી અલ નીનો ઘટનાઓમાંથી એક હશે.
અનુમાન છે કે આ સ્થિતિ કમસે કમ 2027ની શરૂઆત સુધી રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન